નવજીવન ન્યૂઝ, જૂનાગઢ : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના બકવાસ (nonsense of the saints of the Swaminarayan sect) ના કારણે ભૂતકાળમાં અનેક વખત વિવાદ થઈ ચૂક્યા છે. પોતાના સંપ્રદાયને મોટો બતાવવા માટે સ્વામિનારાયણના સાધુઓ અવારનવાર વાણી વિલાસ કરતા જોવા મળે છે. આ વખતે સ્વામિનારાયણના એક સાધુ વાયરલ વીડિયો (Viral Video) માં ગણપતિ મહારાજ અને ઘનશ્યામ મહારાજ બંને સગા માસિયાઈ ભાઈઓ હોવાનું કહેતા નજરે પડ્યા છે. સાધુના બકવાસથી સનાતનીઓ ભડક્યા છે. હાલમાં આ મુદ્દો સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને સોશિયલ મીડિયા પર લોકો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ પાસે માફીની માગ કરી રહ્યા છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ (Controversial viral video of Swaminarayan sadhu) થઈ રહ્યો છે. જેમાં તે કહી રહ્યાં છે કે, દક્ષ પ્રજાપતિની 13 દીકરીઓના લગ્ન ધર્મદેવ સાથે થયા હતા અને એક પુત્રીના લગ્ન ભગવાન ભોળાનાથ સાથે થયા હતા. આ તર્કના આધારે તેમણે દાવો કર્યો કે, ભક્તિ દેવી અને માતા ભવાની સગી બહેનો થાય. જો તેઓ સગી બહેનો હોય તો તેમના સંતાનો એટલે કે ગણપતિ મહારાજ અને ઘનશ્યામ મહારાજ બંને સગા માસિયાઈ ભાઈઓ ગણાય.
જૂનાગઢના રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઈન્દ્રભારતી બાપુએ નારાજગી વ્યકત કરી કહ્યું કે, આમને બુદ્ધિ જેવું છે કે નહીં ? ઘનશ્યામ મહારાજ 200 વર્ષથી છે જ્યારે ગણપતિ તો અનાદિકાળથી છે. અનાદિ દેવને અર્વાચીન સમયના સંત સાથે માસિયાઈ ભાઈ તરીકે સરખાવવા તે અજ્ઞાનતાની પરાકાષ્ઠા છે.








