નવજીવન ન્યૂઝ, ડેસ્ક : ગુનાહિત કૃત્યો અને વિઝા નિયમોનું ઉલ્લંઘન કરનારા 15 ભારતીય નાગરિકોને ઓસ્ટ્રેલિયા સરકારે તગેડી મૂક્યા (Australia Deports 15 Indians) છે. દેશનિકાલ કરાયેલા આ તમામ ભારતીયોને દિલ્હી ખાતે ખાસ ચાર્ટડ ફલાઈટમાં લાવવામાં આવ્યા હતા. મહિલાઓ સહિતના 25 થી 45 વર્ષની ઉંમરના આ નાગરિકોમાં સૌથી વધુ 9 લોકો પંજાબના છે. જ્યારે બાકીના ઉત્તરાખંડ, હરિયાણા અને તેલંગાણાના છે. અત્રે નોંધનીય છે કે, થોડાક મહિનાઓ અગાઉ અમેરિકાથી વિશેષ ફલાઈટોમાં હાથકડીઓ બાંધીને ભારતીય નાગરિકોને મોટી સંખ્યામાં ડિપોર્ટ (USA Deports Indians) કરવામાં આવ્યા હતા.
મુખ્યત્વે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવણી, વિઝા નિયમોનું ઉલ્લંઘન અથવા ઓસ્ટ્રેલિયન સત્તાવાળાઓને સહકાર ન આપવા બદલ ભારતીયોને હાંકી કઢાયા છે. દેશનિકાલ કરાયેલા 15 ભારતીયો પૈકી માત્ર 2 જણા પાસે જ માન્ય પાસપોર્ટ હતા. જ્યારે બાકીના 13ને ભારતીય દૂતાવાસ દ્વારા જારી કરાયેલા ‘EC‘ (ઇમરજન્સી સર્ટિફિકેટ) પર પરત લાવવામાં આવ્યા છે. નૌરુ એરલાઇન્સ (Nauru Airlines) ના ખાસ વિમાન દ્વારા ભારતીયોને પરત મોકલવા પાછળનું કારણ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘણા કેદીઓનું વર્તન હતું. સામાન્ય મુસાફરોની ફ્લાઈટમાં તેમને મોકલવા સુરક્ષા માટે જોખમી બની શકે તેમ હતું. આ વિમાનમાં વધારાના સુરક્ષાકર્મીઓ અને મેડિકલ સ્ટાફ તૈનાત કરાયો હતો.








