નવજીવન ન્યૂઝ, વડોદરા : વડોદરા જિલ્લાના કરજણ પંથકમાં આવેલી કુરાલી-કોઠાવ કેનાલ રોડ પરથી કોથળામાં મળી આવેલી આધેડની લાશનો ભેદ ઉકેલાઈ ગયો છે. કરજણ પોલીસે હત્યા કેસનો ભેદ ઉકેલી (Vadodara murder case solved) આરોપી રતિલાલ વસાવાની ધરપકડ કરી છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ઉછીના લીધેલા 3.50 લાખ રૂપિયા અને વ્યાજ સાથે ચૂકવી દીધા હોવા છતાં કનકસિંહ ચૌહાણ વ્યાજની ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપતા હતા.
કરજણ પાસે કુરાલી-કોઠાવ કેનાલ રોડ પર પ્લાસ્ટિકના કોથળામાં એક આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઓળખ કનકસિંહ માનસિંહ ચૌહાણ તરીકે થઈ હતી અને તેમની બાઈક ધાવડ ગામ પાસેથી મળી આવતા વડોદરા જિલ્લા પોલીસે (Vadodara District Police) તપાસનો દોર આગળ ધપાવ્યો હતો. મૃતક વ્યાજનો ધંધો કરતા હોવાની પણ માહિતી બાતમીદાર થકી પોલીસને હાથ લાગી હતી. હત્યા કેસમાં રતિલાલ વસાવા (રહે. ડુરાલી, તા. કરજણ, જિ. વડોદરા) નામના શખસ પર શંકાની સોય ચિંધાતા પોલીસે તેમની અટકાયત કરતા હત્યા કેસનો ભેદ ઉકેલાયો છે.








