નવજીવન ન્યૂઝ.ચેન્નાઈ: તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનથી રાજકીય વિવાદ ઊભો થયો છે. પ્રચાર દરમિયાન તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હોવાનું સામે આવ્યું છે, જેના કારણે રાજકીય ગરમાવો વધ્યો છે.
મલ્લિકાર્જુન ખડગે તમિલનાડુના ચેલાચેરી વિસ્તારમાં પ્રચાર કરવા પહોંચ્યા હતા. અહીં તેમણે AIADMK અને ભાજપના ગઠબંધન પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, તેઓ મોદી સાથે કેવી રીતે જોડાઈ શકે. તેમના આ નિવેદન બાદ ભાજપે તીવ્ર પ્રતિક્રિયા આપી છે અને ખડગે પાસે માફીની માંગ કરી છે. જોકે ખડગેએ બાદમાં કહ્યું છે કે તેમણે આવી કોઈ ટિપ્પણી કરી નથી.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ખડગેએ જણાવ્યું હતું કે તમિલનાડુમાં DMK અને કોંગ્રેસનું ગઠબંધન વિકાસ માટે કામ કરી રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે પ્રધાનમંત્રી મોદી સમાનતા અને ન્યાયના સિદ્ધાંતોમાં વિશ્વાસ રાખતા નથી. સાથે જ તેમણે અન્નાદુરૈ, કલૈગ્નાર, કામરાજ, પેરિયર અને બાબાસાહેબ આંબેડકર જેવા મહાન નેતાઓના વિચારોને માનવામાં ન આવતા હોવાનો પણ આરોપ મૂક્યો હતો.
આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે તમિલનાડુમાં 23 એપ્રિલે મતદાન થવાનું છે. ભાજપ રાજ્યમાં AIADMK સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ તાજેતરમાં પ્રચાર માટે તમિલનાડુ પહોંચ્યા હતા, જ્યાં તેમણે કોંગ્રેસ સહિતના પક્ષોને સંસદમાં કેટલાક મહત્વના બિલોને લઈ નિશાન બનાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કેરળમાં પ્રચાર દરમિયાન ખડગેએ ગુજરાતના લોકો અંગે પણ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેના કારણે વિરોધ બાદ તેમને માફી માંગવી પડી હતી. રાજકીય વિશ્લેષકો માને છે કે આવા નિવેદનો ચૂંટણીના માહોલમાં કોંગ્રેસ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે, ખાસ કરીને જ્યારે ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે.








