Exclusive: જય અમીન (નવજીવન ન્યૂઝ. અરવલ્લી): સામાન્ય રીતે સ્ટ્રોબેરી ખાવા કે જોવા માટે સહેલાણીઓ મહાબળેશ્વર કે સાપુતારા જેવા ઠંડા પ્રદેશોમાં જતા હોય છે. પરંતુ હવે અરવલ્લીના અંતરિયાળ ગણાતા માલપુર તાલુકાના કાટકુઆ ગામે આ શક્ય બન્યું છે. અહીંના એક મહિલા જૂથે પરંપરાગત ખેતીને તિલાંજલિ આપીને, પોતાની કોઠાસૂઝથી ઓર્ગેનિક સ્ટ્રોબેરીની સફળ ખેતી કરી બતાવી છે. આ ‘નારી શક્તિ’ના પ્રયોગે જિલ્લામાં કૃષિ ક્ષેત્રે નવી દિશા ચીંધી છે.

પરસેવો પાડ્યો અને પરિણામ મળ્યું: 500 રોપાથી થઈ શરૂઆત
કાટકુઆ ગામના ‘શ્રી રાધેશ્વર સહાય જૂથ’ની 10થી 12 બહેનોએ ભેગા મળીને કંઈક નવું કરવાનો સંકલ્પ કર્યો. સદગુરુ ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ કાળીબેન સરદારભાઈ મકવાણા અને તેમના સાથી મહિલાઓએ આણંદથી સ્ટ્રોબેરીના 500 રોપા મંગાવ્યા. માત્ર એક વીઘા જમીનમાં પ્રાયોગિક ધોરણે શરૂ કરેલું આ વાવેતર આજે સફળતાની સુગંધ ફેલાવી રહ્યું છે. રાસાયણિક ખાતરોને જાકારો આપીને સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી ઉગાડેલી આ સ્ટ્રોબેરી સ્વાદમાં એટલી મીઠી છે કે ગ્રાહકો સામેથી ખેતરે આવીને ખરીદી રહ્યા છે.

બમણી આવક: ખેતર જ બન્યું બજાર
વચેટિયાઓ વગર સીધું વેચાણ થતું હોવાથી મહિલાઓને પોષણક્ષમ ભાવો મળી રહ્યા છે. હાલ બજારમાં આ સ્ટ્રોબેરી 200 રૂપિયા પ્રતિ કિલોના ઊંચા ભાવે વેચાઈ રહી છે. આ નાનકડા પ્રયોગથી જ જૂથને અંદાજે 10,000 રૂપિયાની આવક થઈ ચૂકી છે. આ સફળતા જોઈને જિલ્લા વિકાસ અધિકારી (DDO) દીપેશ કેડિયા અને DRDA ડાયરેક્ટર રાજેશ કુચારાએ પણ ખેતરની મુલાકાત લીધી હતી અને મહિલાઓની મહેનતને બિરદાવી હતી.

ઘઉં કરતા શાકભાજીમાં વધુ ફાયદો
માત્ર ફળ જ નહીં, પરંતુ આ મહિલાઓએ 4 હેક્ટર જમીનમાં વૈવિધ્યપૂર્ણ શાકભાજીનું વાવેતર પણ કર્યું છે. જેમાં રીંગણ, ભીંડા, પીકાડોર મરચાં, લસણ અને દૂધીનો સમાવેશ થાય છે.
ભાવફેર: પરંપરાગત ઘઉંની ખેતીમાં મણનો ભાવ માંડ 450 રૂપિયા મળતો હતો, તેની સામે હવે રીંગણ 60 રૂ./કિલો, પીકાડોર મરચાં 35 રૂ./કિલો અને દૂધી 30 રૂ./કિલોના ભાવે વેચાય છે. આમ, નુકસાનની શક્યતા ઘટી છે અને નફાનું ધોરણ ઊંચું આવ્યું છે.
ભવિષ્યનું આયોજન: 4 હેક્ટરમાં લહેરાશે સ્ટ્રોબેરી
મહેનત અને આત્મવિશ્વાસના જોરે આ બહેનોએ પરિવારના આર્થિક બોજને હળવો કર્યો છે. ખેતીમાં તેમના પુત્રો પણ મદદ કરી રહ્યા છે. એક વીઘાના સફળ પ્રયોગ બાદ હવે તેમનું સપનું મોટું છે. આગામી વર્ષે તેઓ ચારેય હેક્ટરમાં સ્ટ્રોબેરીનું વાવેતર કરવા માંગે છે. કાટકુઆની બહેનોએ સાબિત કર્યું છે કે જો યોગ્ય દિશા અને સંગઠિત પ્રયાસ હોય, તો ધરતીના કોઈપણ ખૂણે ‘સોનું’ પકવી શકાય છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








