નવજીવન ન્યૂઝ. મોડાસા : અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક રાણાસૈયદ ચોકડી પાસે બુધવારની સવારે હૃદયદ્રાવક બનાવ બન્યો છે. ધનસુરા તરફ જતા માર્ગ પર પેટ્રોલ પંપની બાજુમાંથી પસાર થતી એક ખાનગી એમ્બ્યુલન્સમાં અચાનક ભીષણ આગ લાગી ગઈ હતી. આગ એટલી ભયાનક હતી કે વાહનના પાછળના ભાગમાં બેઠેલા ચારેય લોકો ઘટના સ્થળે જ ભડથું બની ગયા હતા, જ્યારે આગળ બેઠેલા ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.
નવજાત શિશુને અમદાવાદ લઈ જવાની વચ્ચે દુર્ઘટના
માહિતી અનુસાર, મહીસાગર જિલ્લાના લુણાવાડા વિસ્તારમાં રહેતા જીગ્નેશભાઈ મોચી તેમના તાજા જન્મેલા (ઉં.વ. 1 દિવસ) બાળકને મોડાસાની રીચ હોસ્પિટલમાંથી અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. એમ્બ્યુલન્સ રાણાસૈયદ ચોકડી પાસે પહોંચી ત્યારે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. પાછલા ભાગમાં બેઠેલા ચારેય લોકો બચી શક્યા ન હતા અને સળગી જતાં કરૂણ મૃત્યુ પામ્યા હતા. ડ્રાઈવરે આગ લાગતા તરત જ એમ્બ્યુલન્સ ઊભી રાખી હતી.
મૃતકોની ઓળખ
ઘટનામાં મૃત્યુ પામેલા ચાર લોકોની ઓળખ નીચે મુજબ છે:
જીગ્નેશ મોચી (ઉં.વ. 38) – નવજાતના પિતા
નવજાત શિશુ (ઉં.વ. 1 દિવસ)
રાજકરણ રેટીયા (ઉં.વ. 30) – ડોક્ટર
ભુરીબેન મનાત (ઉં.વ. 23) – નર્સ
ત્રણ લોકો દાઝી ગયા, સારવાર હેઠળ
એમ્બ્યુલન્સના આગળના ભાગમાં બેઠેલા ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમાં —
અંકિત ઠાકોર (ઉં.વ. 24) – ડ્રાઈવર
ગૌસંગકુમાર મોચી (ઉં.વ. 40)
ગીતાબેન મોચી (ઉં.વ. 60)
ત્રણેયને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
મોડાસા ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-194 હેઠળ અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. એમ્બ્યુલન્સમાં આગ લાગવાના સાચા કારણો શું હતા તેની તપાસ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક કરવામાં આવી રહી છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








