નવજીવન ન્યૂઝ.અમરેલીઃ આમ તો ખાલી ખેસ પહેરે અને ત્યાંથી જ ઘણા એક વેંત અધ્ધર ચાલવા લાગે, કારના ડેસ બોર્ડની આગળ ખેસ લટકાવી રુઆબ બતાવે. જોકે ફક્ત નેતા બની જવાથી મોટું થવાતું નથી, તેવું ભાજપ નેતા દિલીપ સંઘાણીએ હાલ જે કર્યું તેના પરથી શીખવા જેવું છે. તેમણે હમણાં જ કરેલા પોતાના નિવેદન અને તે બાદના તેમના પશ્ચાતાપના નિવેદનથી રાજકારણમાં પગલાં માંડી રહેલા નવા યુવાનોએ શીખવા જેવું છે. અમરેલીમાં અમરેલી ભાજપના કેટલાક નેતાઓ અને અમરેલીના એસપી સંજય ખરાત વચ્ચે ચાલી રહેલા શીત યુદ્ધમાં અમરેલીના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ એક મોટું નિવેદન કર્યું છે અને કહ્યું છે કે, મેં એસપી સંજય ખરાત સામે જે નિવેદન કર્યું હતું, એ ગુસ્સામાં કર્યું હતું. મારે સંયમપૂર્વક વર્તવાની જરૂર હતી. કેમ દિલીપ સાંઘાણી આવું કહ્યું અને કેમ તેમણે સંયમ રાખવાની જરૂર હતી? તેના પર વધુ જાણકારી મેળવીએ…
અમરેલીમાં એક ભાજપના નેતા છે જેમનું નામ છે વિપુલ દૂધાત વિપુલ દૂધાત, થોડા દિવસ પહેલા લીલિયામાં દારૂ વેચાઈ રહ્યો છે. એવો એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો જાહેર થતા જ અમરેલી પોલીસે દારૂ વેચનાર સામે કાર્યવાહી શરૂ કરી દીધી. પણ લીલિયા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્શનમાં આવેલા સંજય ખરાતને મળવા માટે જ્યારે વિપુલ દૂધાત અને તેમના સાથીઓ પહોંચે છે અને ત્યાંથી બહાર આવ્યા પછી વિપુલ દૂધાતે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, મારી સાથે અમરેલીના એસપી સંજય ખરાતે અયોગ્ય વર્તન કર્યું અને તેમણે મને એવું પણ કહ્યું કે, તમે તમારું ભાજપ કાર્યાલય એટલે કે, કમલમ્ કેવી રીતના ચલાવો છો? પૈસા ક્યાંથી લાવો છો? તેની મારે તપાસ કરવી પડશે.
બસ આ નિવેદન પછી મામલો ગરમાયો ઘટના આગળ વધે છે અને વિપુલ દૂધાતના ગામમાં પોલીસ પહોંચે છે. કારણ કે પોલીસને જાણકારી મળી હતી કે, દૂધાતના ગામમાં જ ખનીજ ચોરી થઈ રહી છે. આમ જે સંજય ખરાત સામેનો ગુસ્સો હતો તે બેવડાયો. કારણે કે, સંજય ખરાત જે પ્રકારની કાર્યવાહી કરી રહ્યા હતા શક્ય છે કે વિપુલ દૂધાતની મુશ્કેલીઓ વધી શકે. જોકે તે પછી વિપુલ દૂધાતની મદદે આવ્યા અમરેલીના પૂર્વ સાંસદ નારાયણ કાછડિયા. નારાયણ કાછડિયાએ તો ત્યાં સુધી કહી દીધું કે, સંજય ખરાત જે રીતના કામ કરી રહ્યા છે એની અમને ખબર છે. તેઓ દારૂ અને રેતી ખનનના પૈસાથી એશ-આરામ કરે છે. આમ તેમણે પણ સીધો જ આરોપ સંજય ખરાત ઉપર લગાવી દીધો. ત્યાર પછી આ સ્ક્રિન પ્લેની વચ્ચે આવે છે ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સાંઘાણી.
તેમણે પણ કહ્યું કે, પોલીસે પોતાની મર્યાદામાં રહેવાની જરૂર છે. કારણ કે, ભાજપનું જે આંતરિક રાજકારણ છે તેનો પોલીસ ફાયદો લઈ રહી છે. આમ સંજય ખરાત સામે તેમણે પણ મોર્ચો માંડ્યો હતો પણ વિસાવદરની ચૂંટણી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હેલિકોપ્ટર મારફતે ધારી આવવાના હતા અને ત્યાંથી તેઓ સીધા જવાના હતા વિસાવદર. તે વખતે જ દિલીપ સાંઘાણીએ માધ્યમો સાથે વાત કરતાં યુટર્ન લગાવ્યો અને તેમણે કહ્યું કે, સંજય ખરાતે જે કમલમ્ માટે કહ્યું હતું, એવું હું માનતો હતો, એ વાત સાચી નથી. સંજય ખરાત કમલમને લઈને કોઈ વાત કરી નથી. મેં સંયમ ગુમાવ્યો, હું ગુસ્સામાં બોલ્યો. આમ આખી ઘટનામાં દિલીપ સાંઘાણીના નિવેદન પછી મોટો નાટકીય વળાંક આવ્યો છે. હવે સંજય ખરાતને થોડીક રાહત થઈ હશે કારણ કે, સંજય ખરાતે પોતાનો પક્ષ જ્યાં મૂકવાનો હતો પછી એ સરકારમાં હોય કે પછી એ પક્ષમાં હોય, સંજય ખરાતના મત પછી સંજય ખરાતની બાજુ મજબૂત થઈ છે પણ જોવાનું હજી એવું છે કે વિપુલ દૂધાતનું શું થશે? એ તો આવનારો સમય જ કહેશે.








