નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ કુખ્યાત ખાલિસ્તાની (Khalistan leader) હરદીપ સિંગ નિજ્જરની (hardeep singh nijjar) કેનેડામાં (Canada) બે અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી નાખી છે. બ્રિટિશ કોલંબિયાના સરે શહેરમાં હરદીપની હત્યા કરવામાં આવી છે. હરદીપ સિંગ નિજ્જર ભારત વિરુદ્ધ હિંસા અને વિધ્વંસક પ્રવૃત્તિઓ સહિત અનેક વિરોધ પ્રદર્શનોમાં સામેલ છે. ભારત સરકારે હરદીપ સિંગ નિજ્જરને મોસ્ટ વોન્ટેડ જાહેર કર્યો હતો. ભારત સરકારના ટોપ 40 આતંકીઓની યાદીમાં હરદીપનું નામ પણ સામેલ છે. હરદીપ સિંગ નિજ્જર જલંધરના હરસિંગપુરનો વતની હતો. તે કથિત રીતે કેનેડામાં પ્લમ્બર તરીકે કામ કરતો હતો. હરદીપ કેનેડાના સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારાના વડા તરીકે બિનહરીફ ચૂંટાયો હતો.
કેનેડામાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારા પાસે હરદીપને બે અજાણ્યા વ્યક્તિઓએ ગોળી મારી દીધી હતી. ગઈકાલ રાત્રિના સમયે તે ગુરુદ્વારાની બહાર કાર પાર્કિંગમાં પોતાની કારમાં બેઠો હતો, તે દરમિયાન બાઈક પર આવેલા બે લોકોએ હરદીપ પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ થતાં હરદીપને કારમાંથી બહાર નીકળવાનો મોકો ન મળ્યો અને ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થયું હતું. જે ગુરુદ્વારા નજીક હરદીપને ગોળી મારવામાં આવી તે ગુરુદ્વારાનો હરદીપ વડો હતો.
2022માં પંજાબના જલંધરમાં એક હિન્દુ પૂજારીની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લાગ્યા પછી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ નિજ્જર પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. પુજારીની હત્યાનું કાવતરું ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF) દ્વારા ઘડવામાં આવ્યું હતું. અગાઉ NIAએ પણ નિજ્જર સામે ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓનું કાવતરું ઘડવા બદલ ચાર્જશીટ દાખલ કરી હતી. તાજેતરમાં NIAએ 40 આતંકવાદીઓની યાદી બહાર પાડી હતી, તેમાં હરદીપ સિંગ નિજ્જરનું નામ પણ સામેલ હતું. સપ્ટેમ્બર 2020માં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હરદીપ સિંગ નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો. ચાર મહિના અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હરદીપ સિંગ નિજ્જરના સંગઠન KTFને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું.
નિજ્જર 2013-14માં ISIના આમંત્રણ પર પાકિસ્તાન ગયો હતો. આ દરમિયાન તે પાકિસ્તાનમાં ખાલિસ્તાની આતંકવાદી જગતાર સિંગ તારાને મળ્યો હતો. તારાની થાઈલેન્ડમાંથી 2015માં ધરપકડ કરવામાં આવી હતી. હરદીપ સિંગ નિજ્જરે ડિસેમ્બર 2015માં બ્રિટિશ કોલંબિયાના મિસોજેન હિલ્સમાં ખાલિસ્તાની આતંકવાદીઓ માટે તાલીમ શિબિરનું પણ આયોજન કર્યું હતું. આ દરમિયાન ખાલિસ્તાનીઓને નાના હથિયારોની તાલીમ આપવામાં આવી હતી.
નિજ્જર ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે સામેલ હતો. કેનેડામાં ભારત વિરુદ્ધ કેટલાય હિંસક વિરોધ પ્રદર્શનો પાછળ નિજ્જરનો હાથ હતો. નિજ્જર ખાલિસ્તાન ટાઈગર ફોર્સના આતંકવાદીઓને તાલીમ આપતો હતો અને તેમને ભારત વિરોધી હિંસા માટે પ્રેરિત કરતો હતો. કેટલાક અહેવાલો અનુસાર, નિજ્જર કેનેડાના અન્ય રહેવાસી મનદીપ સિંગ સાથે બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI)ને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ માટે તેણે ફંડિંગની પણ વ્યવસ્થા કરી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








