નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad double Murder Case: ડોક્ટર ધારે તો મોતના મુખમાંથી પણ જીવ બચાવી શકે છે, પરંતું આજે એક એવા મહિલા ડોક્ટરની (Woman Doctor) વાત કરવા જઈ રહ્યા છે. જેણે પોતાના સભા ભાઈ અને ભત્રીજીને ધતૂરાના બીજનું પાણી અને સાયનાઈડ આપીને હત્યા (Murder) કરી નાખી હતી. સમગ્ર મામલે ડોક્ટર મહિલા સામે ફરિયાદ નોંધાતા કોર્ટે તેને જીવે ત્યાં સુધી કેદ અને 50 હજારનો દંડ કર્યો હતો, પરંતું હવે તેને કોર્ટમાંથી જામીન મળી ચુક્યા છે. પરંતું ડોક્ટર મહિલાએ જેલમાંથી બહાર આવતા જ તેના જ વકીલ (Lawyer) જોડે એવી હરકત કરી કે તેને ફરીથી હવે જેલમાં જવાનો વારો આવશે.
અમદાવાદમાં ચોંકાવનારા હત્યાકાંડની કહાની
મુળ સુરેન્દ્રનગરની વતની ભૂમી પટેલના લગ્ન સિદ્ધપુર તાલુકાના વતની અને અમદાવાદમાં રહેવાસી જિગર પટેલ સાથે થયા હતા. સાસરીમાં સાસુ, સસરા, પતિ જિગર અને બે નણંદ હતી. જેમાંથી મોટા નણંદના લગ્ન થઈ ગયા હતા. જ્યારે નાની નણંદ કિન્નરી પટેલ ડેન્ટિસ્ટ હતી. લગ્નના શરૂઆતથી જ નણંદ કિન્નરી પટેલનો સ્વભાવ ઠીક લાગતો ન હતો. જેની જાણ પતિને જિગરને કરતા સમય સાથે બધુ સારુ થઈ જશે તેમ કહ્યું હતું. ભૂમિ અને જિગરના લગ્નજીવન દરમીયાન એક દીકરીને જન્મ આપ્યો.
ભૂમી દીકરીના જન્મના આઠ મહિના બાદ જ્યારે ફરી સાસરીમાં ગઈ ત્યારે અચાનક જ પતિ જિગરની તબિયત ખરાબ થઈ જતાં ચોંકી ઉઠી હતી. પતિ ઘરનો સામાન વેરવિખેર કરી નાખતો કપડાં કાઢી નાખે. પતિને હોસ્પિટલ લઈ ગયા બાદ સારુ થઈ જતાં ઘરે પરત ફર્યા હતા. પતિની વારંવાર તબિયત બગડતા 4મે 2019ના દિવસે કુળદેવીના દર્શન કરવા માટે પરિવાર નિકળ્યો હતો, પરંતું રસ્તામાં જ ભૂમી, જીગર અને સસરાની તબીયત લથડતા મોટા નણંદના પતિના દવાખાને સારવાર માટે ગયા હતા. અને બીજા દિવસે કુળદેવીના દર્શન કરવા માટે ગયા હતા. આ દરમિયાન પતિએ ઘરેથી લીધેલી ગ્લુકોઝની બોટલમાંથી પાણી પીધું હતું. ત્યારબાદ અચાનક જ પતિની તબીયત લથડતા તેને હોસ્પિટલ લઈ ગયા જ્યાં તેનું મોત નિપજ્યું હતું. પતિના મોતના 25 દિવસ બાદ 30મે 2019ના ભૂમીની દિકરીનું પણ અચાનક મોત નિપજ્યું. પતિ અને પુત્રીને ગુમાવ્યા બાદ ભૂમી સુરેન્દ્રનગર રહેવા માટે આવી ગઈ હતી. તે દરમિયાન તેમના સસરાએ ફોન કરીને પતિ અને તેની દીકરીની હત્યા થઈ હોવાનું અને હત્યા તેની નંણદએ જ કરી હોવાનું જણાવતા પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી. આ હત્યા બાબતે ભૂમીના સસરાએ તેમની જ દિકરી કિન્નરી સામે ડબલ મર્ડરની ફરિયાદ નોંધાવી હતી.
જોકે પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ડો. કિન્નરી પટેલનું ઘરમાં માન ન જળવાતા અને દીકરા-દિકરાનો ભેદભાવ થતો હોવાનું માનીને ધતુરાના બીજ લાવીને ક્યારેક ભોજનમાં તો ક્યારેક ચામાં નાખીને હત્યા કરવાના ઈરાદે તેના સગા ભાઈને આપતી હતી, ત્યારબાદ કિન્નરીએ સોનાના વેપારી પાસેથી પોટેશિયમ સાયનાઈડ મેળવીને તેની ટેબ્લેટ બનાવી અને તેનો પ્રયોગ કિડી મકોડા પર કર્યો, જોકે સાયનાઈડથી કીડી મકોડા મરી જતાં એક મહિના બાદ આ પ્રયોગ તેના ભાઈ અને તેની દીકરી પર કર્યો અને ઝેર આપીને મારી નાખ્યા. આ ચોંકવનારા ડબલ મર્ડર કેસમાં પાટણની સેશન્સ કોર્ટે 4 એપ્રિલ 2022ના રોજ કિન્નરી પટેલને ભાઈ અને ભત્રીજીની હત્યાના કેસમાં દોષિત ઠેરવીને આજીવન કેદ અને 50 હજાર રૂપિયાની સજા ફટકારી હતી.
કિન્નરી પટેલે પાટણની કોર્ટના ચુકાદાને તેના વકીલ મારફતે ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેની અપીલ હજુ ચાલી રહી છે. આ કેસની સુનાવણી હાઈકોર્ટના જસ્ટિસ એસ. એચ. વોરા, જસ્ટિસ બીના શાહ અને જસ્ટિસ એસ. વી. પિન્ટો સમક્ષ 31 માર્ચના રોજ થઈ હતી. જેમાં કોર્ટે કિન્નરી પટેલને રૂ. 50,000ના જામીન બોન્ડ ઉપર જામીન મુક્ત કરવા હુકમ કર્યો હતો. જેમાં કોર્ટએ શરત મુકી હતી કે, અપીલના અંતિમ નિકાલ સુધી પાસપોર્ટ હોય તો સેશન્સ કોર્ટ સમક્ષ સરેન્ડર કરવો અને ન હોય તો સેશન્સ કોર્ટ સમક્ષ એફિડેવિટ ફાઈલ કરવી, કિન્નરી પટેલે ગુજરાતની હદ છોડવી નહીં, કિન્નરીના રહેઠાણનું સરનામું પોલીસ સ્ટેશનને આપવું અને અપીલના અંતિમ નિકાલ સુધી સરનામું કોર્ટની પૂર્વ પરવાનગી વિના બદલવું નહીં, દર મહિને સંબંધિત પોલીસ સ્ટેશન સમક્ષ હાજર થવું, જામીન દરમિયાન કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ ન કરવી.
હાઈકોર્ટમાંથી 31 માર્ચે જામીન મળ્યા બાદ 3 એપ્રિલએ કિન્નરી પટેલ 3 વર્ષ અને 9 માસની જેલની સજા ભોગવીને બહાર આવી. કિન્નરી બહાર આવતા જ ફરી તેના પર ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ તેના જ વકીલે સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. જેમાં વકીલે જણાવ્યું છે કે, કિન્નરીએ વકીલને પાસપોર્ટ બાબતે નકલી એફિડેવિટ બનાવવા માટે કહ્યું હતું. જેમાં તેની પાસે કોઈ પાસપોર્ટ ન હોવાનું લખાણ લખવાનું હતું. પરંતું આ જુઠું લખાણ લખવાની વકીલે ના પાડતા કિન્નરીએ વોટ્સએપ કોલ કરીને વકીલને ધમકી આપી હતી કે, હું કોર્ટના હુકમ મુજબ મારો પાસપોર્ટ જમાં કરાવવાની નથી અને મારે વિદેશ ભાગી જવાનું છે, જેથી તમે હું પાસપોર્ટ ધરાવતી નથી તેવું ખોટૂ એફીડેવીટ બનાવો અને 50 હજારના ખોટા જામીનદાર કરી આપો. આ બાબતે વકીલ ઈનકાર કરતાં કિન્નરીએ ધમકી આપી હતી કે, તું મારૂ કામ ન કરતી હોય તો તને ફી પણ આપવાની થતી નથી, હવે મારી પાસે ફી માગીશ તો અગાઉ મે મારા સગા ભાઈ અને ભત્રીજીને પોટેશીયમ આપી મારી નાખ્યા હતા તે જ રીતે તેને અને તારી દીકરીને પણ મારી નાખીશ, હજી સુધી પોટેશીયમ સાઈનાઈટ પડ્યું છે. આ ધમકી બાબતે વકીલે પોલીસ ફરિયાદ નોંધાવતા ડબલ મર્ડર કેસની મહિલા આરોપીને જામીન મળ્યા બાદ ફરી જેલમાં જવાનો વારો આવશે.








