નવજીવન ન્યૂઝ. ભરૂચ : ભરૂચ નજીક આવેલી નર્મદા નદી પરના નર્મદા મૈયા બ્રિજ( Narmda Bridge) સ્યૂસાઇડ પોઈન્ટ બની રહ્યો છે. નવા વર્ષના બીજા જ દિવસે નર્મદા મૈયા બ્રિજ પરથી પત્નીની નજરની સામે જ પતિએ નદીમાં મોતની છલાંગ લગાવી હતી. આ બનાવને લઈને બ્રિજ ઉપર ટોળા એકઠા થઈ ગયા હતા. સમગ્ર બનાવ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા આત્મહત્યા કરનારા વ્યક્તિની શોધખોળ શરૂ કરવામાં આવી હતી,સાથે જ સ્થાનિક પોલીસ (Bharuch Police) પણ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી શરૂ કરી હતી.

પ્રાપ્ત વિગત અનુસાર, નવા વર્ષના બીજા દિવસે સાંજના સમયે એક દંપતી ભરૂચથી અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તાર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન નર્મદા મૈયા બ્રિજ ઉપર પતિએ લઘુશંકાના બહાને બાઈકને ઊભી રાખી હતી. ત્યાર બાદ અચાનક પતિએ નદીમાં છલાંગ લગાવી દીધી હતી. પત્ની નજરની સામે જ પતિએ છલાંગ લગાવતા પત્નીએ બુમાબુમ કરી હતી. જેના કારણે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો દોડી આવ્યા હતા.

અંકલેશ્વરના જીતાલી ગામમાં રહેતા કે. પી. સિંઘ તેમની પત્ની સાથે ભરૂચમાં રહેતા સગા સંબંધીને ત્યાં દુઃખદ પ્રસંગમાં હાજરી આપવા માટે ઘરેથી નીકળ્યા હતા. પ્રસંગમાંથી પરત ફરતી વખતે નર્મદા મૈયા બ્રિજ પર બાઈક ઊભી રાખીને પતિએ લઘુશંકાનું બહાનું કાઢ્યું હતું, જોકે પત્નીએ પતિને રોકતા કહ્યું હતું કે, નદીમે કોઈ લઘુશંકા કરતા હે ક્યા..? પત્નીએ પતિનો હાથ પકડીને રોકવાનો પણ પ્રયત્ન કર્યો હતો, તેમ છતાં પતિ પત્નીના હાથમાંથી છૂટીને ગોલ્ડન બ્રિજ તરફના છેડા ઉપર જઈને નદીમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. પત્નીના હૈયાફાટ રૂદનથી લોકોનું ટોળુ એકઠુ થઈ ગયું હતું, સમગ્ર ઘટના અંગેની જાણકારી પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે આવીને પત્નીની પુછપરછ શરૂ કરી હતી, સાથે જ ટોળાને વેરવિખેર કર્યું હતું. ઘરકંકાસના કારણે પતિએ નદીમાં છલાંગ લગાવી હોવાનું હાલ અનુમાન લગાવામાં આવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા નદી પર આવેલો નર્મદા મૈયા બ્રિજ હવે સ્યૂસાઇડ પોઈન્ટ બની રહ્યું છે, ગત વર્ષની વાત કરવામાં આવે તો 2 ડઝનથી પણ વધુ લોકોએ આ બ્રિજ પરથી મોતની છલાંગ નદીમાં લગાવી હતી. બ્રિજ પર અવાર-નવાર આત્મહત્યાના બનાવ બનતા પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારમાં આવ્યું છે. તેમ છતાં પણ આત્મહત્યાને રોકવા માટે તંત્ર નિષ્ફળ જઈ રહ્યું છે. જેના પાછળનું એક તારણ પુલની રેલીંગ સાથે પ્રોટેક્શન વોલની જાળી લગાવવામાં આવેલી નથી. આ બ્રિજના બંને તરફ જાળી લાગવવામાં આવે તો આત્મહત્યાના પ્રયાસ અટકી શકે તેમ છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








