નવજીવન. હરિયાણાઃ હરિયાણાના હિસારમાં પાણીની મોટર ચોરીની શંકામાં એક દલિત યુવકને માર મારવામાં આવ્યા બાદ શુક્રવારે 17 ડિસેમ્બરે હિસારમાં સરકારી હોસ્પિટલ પરિસરમાં પણ પરિવારના સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો. પરિવાર ત્રણ દિવસથી ધરણા કરી રહ્યો છે. તેઓએ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાની ના પાડી દીધી છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી પોલીસ તમામ ગુનેગારોની ધરપકડ નહીં કરે અને તેમની માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ અંતિમ સંસ્કાર કરશે નહીં.
આ કેસ હિસારના મિર્કા ગામનો છે. પરિવારે આરોપ લગાવ્યો હતો કે, 14 ડિસેમ્બર, મંગળવારે કેટલાક લોકોએ કામના બહાને ઘરેથી વિનોદ અને તેના બે પિતરાઇ ભાઇ સંદીપ અને ભાલસિંહને ફોન કરીને ખેતરમાં લઈ ગયા હતા. ત્યાં દબંગોએ વિનોદ અને તેના ભાઈઓ પર ખેતરમાંથી પાણીની મોટર ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો. તેઓએ ત્રણેયને લાકડીઓથી માર માર્યો હતો. વિનોદનું માર મારવાને કારણે મોત નીપજ્યું હતું જ્યારે બંને ઘાયલ ભાઈઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતક વિનોદ મજૂર હતો.
ઈન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર પીડિતના પરિવારનું કહેવું છે કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ વિનોદના અંતિમ સંસ્કાર નહીં કરે. પીડિતનો પરિવાર 15 ડિસેમ્બર, બુધવારથી હોસ્પિટલની બહાર ધરણા કરી રહ્યો છે. પરિવાર સાથે અનેક દલિત સંગઠનો પણ વિરોધ કરી રહ્યા છે. આ પરિવાર મૃતકની પત્ની માટે વળતર અને સરકારી નોકરી તરીકે 50 લાખ રૂપિયાની માંગ કરી રહ્યો છે. સાથે જ પીડિતનો પરિવાર બંને ઇજાગ્રસ્તો માટે 25 લાખ રૂપિયા અને ડીસી રેટ પર સરકારી નોકરીની માંગ કરી રહ્યો છે.
હિસાર ડીએસપી (મુખ્ય મથક), અશોક કુમારે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે,“પોલીસના જણાવ્યા અનુસાર, પરિવારે શરૂઆતમાં 11 શંકાસ્પદ લોકો પર આરોપ મૂક્યો હતો. આમાંથી ૬ પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. બાદમાં પરિવારે ૧૭ લોકો પર હત્યાનો આરોપ લગાવ્યો હતો.”
વહીવટી તંત્ર પીડિતના પરિવાર સાથે વાત કરી રહ્યું છે જે તેમને મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરિવારની માંગ પર તપાસ અધિકારીને પણ બદલવામાં આવ્યા છે. વહીવટી તંત્ર પીડિતના પરિવારને ૮.૫ લાખ રૂપિયા અને ઘાયલ થયેલા બંનેને ૧-૧ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા પણ તૈયાર છે. ઈન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર અધિકારીઓનું કહેવું છે કે અગાઉ મૃતકોના નજીકના સંબંધીઓને વળતર તરીકે 4.5 લાખ રૂપિયા ચૂકવવાના હતા, પરંતુ બાદમાં આ રકમ વધારીને 8.5 લાખ કરવામાં આવી હતી. પીડિતના પરિવાર પાસે બેંક ખાતું નથી, તેથી તેમનું ખાતું સોમવારે, 20 ડિસેમ્બરે બેંકમાં ખોલવામાં આવશે અને વળતરની રકમ તે ખાતામાં જમા કરવામાં આવશે.
હિસારના ડેપ્યુટી કમિશનર પ્રિયંકા સોની, ડીઆઈજી બલવાનસિંહ રાણા સહિત જિલ્લાના અનેક વરિષ્ઠ અધિકારીઓ પીડિતના પરિવારને સિવિલ હોસ્પિટલમાં મળ્યા હતા. ડીઆઈજી રાણાનું કહેવું છે કે આ કેસની તપાસ ડીએસપી રેન્કના અધિકારી કરશે. હત્યા ઉપરાંત એસસી/એસટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.








