નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ બેઠકોનું મતદાન આજે પુર્ણ થયું છે. ત્યારે એક્ઝિટ પોલ (Gujarat Election Exit Poll 2022)ના આંકડાઓ સામે આવી રહ્યાં છે જેમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. પરંતુ અમદાવાદ (Ahmedabad)ના બાપુનગર વિસ્તારના ભાજપના કાર્યકરોએ તો બાપુનગર (Bapunagar) બેઠકનો વિજય વ્યક્ત કરી દીધો છે. એટલું જ નહીં બાપુનગરમાં આતિશબાજી અને ફટાકડા ફોડી જીતની ઉજવણી પણ કરી નાખી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન પુર્ણ થયું છે. પરંતુ પ્રથમ તબક્કાની જેમ જ બીજા તબક્કામાં પણ મતદાન ઓછું નોંધાતા પરિણામને લઈ સૌ કોઈ અસમંજસમાં છે. કેટલાકનું માનવું છે ઓછું મતદાન ભાજપને એટલે કે સત્તાધારી પક્ષને નુકશાન કરશે. પરંતુ એક્ઝિટ પોલ અને ભાજપના નેતાઓ આ મામલે પોતાની જીત થશે તેવા નિવેદન આપી રહ્યાં છે. ત્યારે અમદાવાદની બાપુનગર વિધાનસભા બેઠકના ઉમેદવારની જીતના તો ફટાકડા પણ સરસપુર વિસ્તારમાં ફોડવામાં આવ્યા છે.
કેવી રીતે ઓછું મતદાન ભાજપને પહોંચાડશે સત્તા સુધી ? આ રહ્યો અમારો એક્ઝિટ પોલ
બીજી તરફ અમદાવાદની જમાલપુર ખાડીયા વિસ્તારના ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટે પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી સોશિયલ મીડિયામાં મુક્યા છે. તેમણે તો જમાલપુર ખાડીયા વિધાનસભા વિસ્તારના મતદારો અને ભાજપના કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે બીજી તરફ તેમણે જીત મેળવી હોય તેમ સોશિયલ મીડિયા પર મેસેજ ફરતા કર્યા છે.
આમ હવે પરિણામ બાદ જ કહી શકાય છે કે, ભાજપના આ બંને ઉમેદવારનો ઓછું મતદાન ફળે છે કે કેમ.








