નવજીવન. રાજકોટઃ ગુજરાતમાં 2022માં ચૂંટણી આવી રહી છે અને બીજી તરફ સમગ્ર ગુજરાતમાં વિકાસના કામોએ વેગ પકડ્યું છે. ઠેર ઠેર ઓવર બ્રીજ અને અંડર બ્રીજના કામ ચાલી રહ્યા છે. જોકે આ વિકાસના કામ થાય તે માટે અત્યારે સામાન્ય પ્રજાને થોડું હેરાન થવું પડે તો નવાઈ નહીં. રાજકોટ-ગોંડલ રોડ પર રોડનું કામ ચાલી રહ્યું હોવાને કારણે અવાર-નવાર ટ્રાફીક જામના દૃષ્યો સર્જાય છે. આવા સમયે ટ્રાફીક નિવારણ માટે પોલીસ કે ટીઆરબી જવાન હાજર ન હોવાને કારણે પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને નાગરિકો દ્વારા ટ્રાફીક નિવારણની કામગીરી કરવામાં આવી હતી.

ગઈકાલે દિવસ દરમિયાન રાજકોટથી ગોંડલ તરફ જતા રોડ પર ગુરુકુળ, મવડી અને પીડીએમ કોલેજને જોડતા રોડ પર ભારે ટ્રાફીકજામ સર્જાયો હતો. જેને કારણે રસ્તા પરથી પસાર થતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, પરંતુ આ સમયે બે વિદ્યાર્થિનીઓ સામે આવી અને ટ્રાફીકજામ દુર કરવાનો પ્રયત્ન કરી રહી હતી. આ બંને વિદ્યાર્થિનીઓએ પ્રશંસનીય કામગીરી કરીને 15-20 મીનીટમાં ટ્રાફીકજામ દુર કર્યો હતો. કેટલાક લોકોએ આ બંને યુવતીઓના સીગ્નલની અવગણના કરી હતી તેમ છતા તેમણે ટ્રાફીકની સમસ્યા દુર કરી હતી.

ત્યાર બાદ રાત્રીના સમયે ગુજરાતના પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી ગોંડલ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન હાઈવે પર ટ્રાફીકજામ સર્જાયો હતો. આ ટ્રાફીકજામમાં એક એમ્બ્યૂલન્સ પણ અટવાઈ હતી. આ વાતની પરેશ ધાનાણીને જાણ થતા તેમણે જાતે રસ્તા ઉપર ઉતરી ગયા હતા અને ટ્રાફીકની સમસ્યા દુર કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરેશ ધાનાણીએ ભારે જહેનત બાદ આ ટ્રાફીક નિયમન કરીને એમ્બ્યૂલ્સને અને અન્ય વાહનોને ટ્રાફીકમાંથી બહાર કાઢ્યા હતા.
આ બંને ઘટના એક જ દિવસની છે અને બંને ઘટનામાં અગત્યનો પ્રશ્નએ છે કે જ્યારે ટ્રાફીકજામ સર્જાયો તે સમયે કોઈ પોલીસ કે ટીઆરબી જવાન હાજર ના હતા. મહામારીના સમયે પોલીસ દ્વારા માસ્ક માટે દંડ ઉઘરાવવા માટે દરેક ચાર રસ્તાઓ ઉપર પોલીસ જવાનો ઉભા જોવા મળતા હતા. જ્યારે હવે આવા ટ્રાફીકજામ દરમિયાન સામાન્ય નાગરિકો અને નેતાઓએ રસ્તા પર ઉતરવુ પડે છે તે પોલીસ અને પ્રશાસનની કામગીરી સામે પ્રશ્નો ઊભા કરે છે.








