નવજીવન ન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં કેટલાક ચહેરાઓ એવા રહ્યા છે કે તેઓ ક્યાંથી ચૂંટણી લડશે તેના જવાબ લાંબા સમયથી મતદારોમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યા છે. હાલમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા અને પાર્ટીનો સીએમ ફેસ તરીકે જાહેર થયેલા ઈશુદાન ગઢવીને પાર્ટી કઈ બેઠક પરથી લડાવશે તેના માટે પણ ચર્ચાઓ ચાલી હતી પરંતુ હવે અરવિંદ કેજરીવાલે તેના પર પૂર્ણવિરામ મુક્યું છે. અરવિંદ કેજરીવાલે આ અંગે જાહેરાત કરી છે કે ઈશુદાન ગઢવીને તેઓ જામખંભાળિયાથી ચૂંટણીના મેદાને ઉતારી રહ્યા છે. આ ઉપરાંત આપ દ્વારા વધુ એક દ્વારકા બેઠક માટે પાર્ટીના ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
ઈશુદાન ગઢવીનું નામ જામખંભાળિયાથી જાહેર કરતાં અરવિંદ કેજરીવાલ કહે છે કે, ખેડૂત, બેરોજગાર યુવાનો, મહિલાઓ, વેપારીઓના માટે વર્ષોથી અવાજ ઉઠાવનારા ઈશુદાન ગઢવી જામ ખંભાળિયાથી ચૂંટણી લડશે. ભગવાન કૃષ્ણની પાવન ભૂમિથી ગુજરાતને એક નવા અને સારા મુખ્યમંત્રી મળશે. આ તરફ ગુજરાત વિધાનસભાની દ્વારકા બેઠક પરથી આમ આદમી પાર્ટીએ વધુ એક ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. દ્વારકામાં પાર્ટી તરફથી લખમણભાઈ નકુમ ચૂંટણી મેદાને ઉતારવામાં આવ્યા છે.








