નવજીવન ન્યૂઝ. મોરબીઃ મોરબીમાં રવિવારે સાંજે બ્રિજ દુર્ઘટનામાં 130 થી વધુ લોકોના મોત થયા હતા. ત્યારે આજે PM નરેન્દ્ર મોદીએ મોરબીમાં પુલ અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે અધિકારીઓ સાથે ઘટનાના દિવસ વિશે પણ વાત કરી હતી. ઉપરાંત હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્ત સાથે વાતચીત પણ કરી હતી. બીજીબાજુ ઈજાગ્રસ્તોએ પણ પીએમને ઘટનાની આપવીતી જણાવી હતી.
PM નરેન્દ્ર મોદી મોરબીમાં બ્રિજ દુર્ઘટના સ્થળે પહોંચી ગયા છે. બ્રિજના એક છેડેથી રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંધવી સાથે સમગ્ર ઘટના અંગેનો તાગ મેળવ્યો હતો. ઘટનાસ્થળની મુલાકાત બાદ આ અકસ્માત અંગે ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજાવાની છે. આ બ્રિટિશ કાળનો પુલ જેને ઘણા મહિનાઓ સુધી સમારકામ બાદ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ગયા રવિવારે તે તૂટી ગયો હતો. આ ઘટનામાં 47 બાળકો સહિત 130થી વધુ લોકોના મોત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર જે સમયે આ પુલ તૂટ્યો તે સમયે તેના પર 500 થી વધુ લોકો સવાર હતા. જ્યારે આ પુલની ક્ષમતા માત્ર 125 લોકોનો ભાર વહન કરવાની હતી.
ઓરેવા કંપની દ્વારા સમારકામ કર્યા બાદ આ પુલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ બ્રિજના ઉદઘાટન પહેલા પ્રશાસન પાસેથી ફિટનેસ સર્ટિફિકેટ પણ લેવામાં આવ્યું ન હતું. ઓરેવા કંપની બ્રિજના સમારકામ માટે આઠથી 12 મહિના સુધી બંધ રાખવાની હતી. પરંતુ બેદરકારીના કારણે તેણે થોડા મહિનાઓ સુધી રિપેરિંગ કર્યા પછી જ તેને ખોલવામાં આવ્યો હતો. રવિવારે આ પુલ જોવા માટે 400 થી વધુ લોકોની ટિકિટ કપાઈ હતી. ટિકિટની કિંમત 12 અને 17 રૂપિયા રાખવામાં આવી હતી. ગુજરાતની ફોરેન્સિક લેબના જણાવ્યા અનુસાર, તપાસમાં જાણવા મળ્યું છે કે આ પુલ એટલા માટે તૂટ્યો હતો કારણ કે એક સમયે તેના પર જરૂર કરતાં વધુ લોકો ચઢતા હતા. આ ઘટના બાદ પોલીસે ઓરેવા કંપનીના બે અધિકારીઓ સહિત કુલ 9 લોકોની ધરપકડ કરી હતી.








