નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ આજથી નવરાત્રીના તહેવારનો પ્રારંભ થયો છે. બીજી બાજુ ખૈલયાઓ પણ આજથી મન મૂકીને ગરબે ઝુમવા માટે તૈયાર થઈ ગયા છે. આયોજક દ્વારા મોટા પાયે અનેક જગ્યાઓ પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નવરાત્રીના પહેલા દિવસે જ ખૈલયા અને આયોજકો ચિંતામાં મૂકાયા છે. આજે અમદાવાદ, વડોદરા સહિત અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપડા પડ્યા છે. જેને લઈને લાખો રૂપિયાનું રોકણ કરીને બેઠેલા આયોજક ચિંતામાં મુકાયા છે.
ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. છેલ્લા બે વર્ષથી મહામારીના કારણે ગરબાનું આયોજન ન થતાં ગરબા રસીકો દ્વારા આ વર્ષે કોઈ કરકસર કરવાના મૂડમાં નથી. ઉપરાંત શહેરાના બજારમાં પણ નવરાત્રીને લઈને ટ્રેડિશનલ કપડા ખરીદવા લોકોની ભારે ભીડ જોવા મળી હતી. પરંતુ આજે બપોરે વરસાદી ઝાપટા પડતા ખૈલયાના મોતીયા મરી ગયા હતા. પહેલા જ નોરતે વરસાદ પડતાં પહેલા નોરતે ગરબા થશે કે નહીં તે અંગે સૌ કોઈ ચિંતત બન્યા છે.
વડોદરામાં મોટા ભાયે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં દેશ-વિદેશથી લોકો ઉમટી પડતા હોય છે. તેવામાં આજે બપોર બાદ ઇલોરા પાર્ક, સુભાનપુરા, મનીષા ચોકડી, સમા, સુભાનપુરા, ઓ.પી. રોડ, અલકાપુરી, રેસકોર્સ, અક્ષરચોક, જાંબુવા, મકરપુરા, માંજલપુર, તરસાલી વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. ઉપરાંત આકાશમાં પણ કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા. જ્યારે અમદાવાદમાં નરોડા, ઓઢવ, વસ્ત્રાલ, ઘોડાસર, ઇસનપુર, વટવા, મણિનગર, કાંકરિયા સીટીએમ, નિકોલ સહિત અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જો આજ પ્રમાણે સાંજના સમયમાં વરસાદ ખાબકે તો ગરબાના મેદાનમાં કાદવ કિચડ થવાની સંભાવના રહેલી છે. ત્યારે આજે રાત્રે ગરબાનું આયોજન થશે કે નહીં તે અંગે ખૈલયા મૂંઝવણમાં મુકાયા છે.








