નવજીવન ન્યૂઝ.ગીર સોમનાથઃ ગીર સોમનાથ જિલ્લામાં આવેલા દરિયાકાંઠેથી અવારનવાર નશીલા દ્રવ્યોની હેરફેરની ઘટનાઓ સામે આવી છે. હાલમાં જ લાખોની માર્કેટ વેલ્યૂ ધરાવતા 16 કિલો ચરસના પેકેટ હિરાકોટ બંદરથી મળી આવ્યા છે. આ પકેટની એસઓજી ટીમને બાતમી મળતા કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે અહીં આ ઘટનામાં સંડોવાયેલું કોઈ શખ્સ મળી આવ્યું નથી. પોલીસે એનડીપીએસ એક્ટ અંતર્ગત અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગીર સોમનાથના દરિયા કિનારે નશીલા પદાર્થો બિનવારસી મળી આવવાનો જાણે શિલશિલો સર્જાયો હોય તેવું બન્યું છે. ગઈ કાલે એસઓજી ડટીમ દ્વારા નશીલા પદાર્થની વિગતોને આધારે કાર્યવાહી કરતાં ચરસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 16 પેકેટ કબ્જે કર્યા છે. પોલીસે વજન કરતાં 16 કિલો ચરસ હોવાનું માલુમ પડ્યું છે જેની માર્કેટમાં લાખો રુપીયાની કિંમત હોય છે. પોલીસે આ કેસમાં સોમનાથ મરીન ખાતે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં થોડા સમય પહેલા જ વેરાવળ, સોમનાથ અને સુત્રાપાડા ખાતેથી દરિયા કિનારે બિનવારસી હાલતમાં 301 કિલો ચરસ મળી આવ્યું હતું જેની અંદાજીત માર્કેટ વેલ્યૂ 4.51 કરોડ થવા જતી હતી. જે પછી પણ સતત નશીલા પદાર્થો મળ્યાની ઘટનાઓ બની હતી.








