નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગરોળી, સર્પદંશ, બામ, દારુ, આયોડેક્ક્ષ, પેટ્રોલ, થીનર, કોકેઈન, ચરસ, અફીણ, બ્રાઉન સુગર, દવાઓ, મોબાઈલ એડિક્શન વગેરે જેવા ગંભીર નશાઓ માટે ઉપયોગ કરી માણસ પોતાની જીંદગી કેટલી ખરાબ કરી શકે અને તેની સામે એ બધી બદીઓને છોડી પોતાનું જીવન કેટલું સારુ કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ છે અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા રોનક પટેલ. રોનક પટેલ હાલ 35 વર્ષના છે પરંતુ જ્યારે 17 વર્ષના હતા ત્યારથી પોતાના બે મિત્રો સાથે ફરવા ગયા ત્યાંથી તેમણે દારુ પીવાનું શરુ કર્યું અને સમય જતાં એ હદે પીવાનું થતું કે સવારે ઉઠતાં જ બે ગ્લાસ જોઈએ.
એક સમય એવો હતો કે કારમાં દારુની બોટલ હોય હોય ને હોય જ. દારુ ઉપરાંત જુગારની પણ એવી લત હતી કે તેમણે એક જ ઝટકામાં 6 કરોડ રૂપિયા મુકી દેવાના થયા હતા. તેમની આ સ્થિતિ સુધરતી ન હતી અને તેના કારણે તેમના પરિવારમાં દુઃખદ સ્થિતિ હતી. સતત ઝઘડા, ઉહાપોહ, પરિવાર જાણે પરિવાર હતો જ નહીં તેવું કહી શકાય. એ હદે કે તેમણે કહ્યું કે ખુદ મારી બે દીકરીઓ પણ મને જોઈને ડરતી, ગભરાતી હતી. આજે તેમણે પોતાના જીવનને એવી રીતે સુધાર્યું છે કે તમે જાણે તેમને એક નવી ઓળખ સાથે જોતા હોવ તેવું લાગે. તેમણે પુનામાં એક રિહેબ સેન્ટરમાં ગયા અને ત્યાં કાઉન્સીલર તેમને મળ્યા અને તેમના કાઉન્સીલીંગથી દવાઓ વગર માત્ર મન મજબૂત કરી, મક્કમ કરીને તેમનું જીવન બદલ્યું. હવે તેઓ જ્યારે પાછા અહીં અમદાવાદ આવ્યા ત્યારે બીજી એક કરુણ ઘટના બની તેમના જે બે દોસ્તો જેમની સાથે તેમણે દારુ પીવાનું શરુ કર્યું હતું તેઓએ દુનિયાને અલવિદા કહી દીધી હતી.

તેઓ પોતાના મિત્રોને ગુમાવવાને કારણે બહુ દુઃખી થયા અને તેમણે પોતાના કાઉન્સિલરને ફોન કર્યો અને કહ્યું કે તમે અમદાવાદ આવો અહીં તમારી ઘણાને જરૂર છે. તેઓએ પોતે પોતાનું રિહેબ સેન્ટર ‘ખ્વાહીશ ફાઉન્ડેશન’ (Khwaish Foundation) શરૂ કર્યું. હવે અહીં તેઓની પાસે ઘણા દર્દીઓ છે જેઓ તેમની સાથે સારવાર લઈ રહ્યા છે અને હાલ પોતાની નવી જીંદગીની સફર તરફ આગળ વધી રહ્યા છે. અહીં આપને એ પણ જણાવવા માગીએ છીએ કે જો આપ પણ આવી કોઈ નશાની આદત છોડવા માગો છો, અથવા એવા કોઈને જાણો છો કે જેમને આ પ્રકારની મદદની જરૂર છે તો આપ પણ નરોડાના ખ્વાહીશ ફાઉન્ડેશનની મુલાકાત લઈ શકો છો અને પ્રારંભીક માહિતી મેળવવા માટે 9904345678 પર રોનક પટેલ સાથે વાત કરી શકો છો.

રોનકભાઈ કહે છે કે, મેં મારી દીકરીઓના પ્રેમની અનુભુતી જ તે વખતે ગુમાવી દીધી હતી. તેઓ મારાથી ડરતી અને હવે મને સમજાય છે કે એક પિતા અને પુત્રીઓ વચ્ચેના પ્રેમની કેટલી મોટી કિંમત હું ચુકવી રહ્યો હતો અને હવે તેઓના પ્રેમને હું અનુભવી શકું છું. બસ મારામાં જેવી રીતે માણસ છું એવા ફેરફાર થયા તેવા ફેરફાર હું લોકોમાં પણ જોવા માગું છું અને નશો તેમને જાનવર ન બનાવી દે તેવું ઈચ્છું છું.
ડી.એડીક્શન સેન્ટરમાં કેવી રીતે થાય છે પ્રોગ્રામ
રોનકભાઈ કહે છે, સામાન્ય રીતે આપને રિહેબ સેન્ટરનું નામ પડતાં દવાઓથી નશો છોડાવવા વગેરે જેવો વિચાર આવશે. અને કદાચ એવું પણ વિચારશો કે દવાઓથી નશો બંધ કર્યા પછી પાછું થોડા મહિના, વર્ષમાં નશાની આદત ફરી આવી જતી હોય છે. તો અહીં આવું કશું થતું નથી. અહીં દર્દીઓને દવાઓ નહીં પરંતુ તેમના માઈન્ડને નશો છોડવા માટે તૈયાર કરવામાં આવે છે. એક વખત મગજથી માણસ નશો નથી કરતો હું. તેવું સ્વિકાર કરી લે તે પછી તેના જીવનમાંથી નશો ઘણો દૂર જતો રહે છે. અહીં અમે યોગ કરાવીએ છીએ, મેડિટેશન, ઉપરાંત ઈન્ડોર ગેમ્સ વગેરે કરાવીએ છીએ. સાથે જ તેમના મનમાં એડિક્શન સાથે જોડાયેલી બાબતો કે મારી પ્રેમીકા છોડી ગઈ એટલે હું દારું પીતો થયો, ભણવામાં પરિણામ સારા ન આવ્યા એટલે પીતો થયો, ધંધો તૂટ્યો એટલે વગેરે વગેરે બાબતોને મનમાંથી હાંકી કાઢી પોતાના માટે જીવન જીવવાની ઈચ્છા તેમનામાં ઊભી કરીએ છીએ. સમય ઘણી બધી બાબતોનો ઈલાજ છે અને અહીં અમારા સેન્ટરમાં પાંચ મહિના વિતાવ્યા પછી તેમના જીવનમાં કેટલા સારા ફેરફાર આવે છે તે તેઓ અને તેમનો પરિવાર જ સમજી શકશે.








