નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ‘અંગદાન એ મહાદાન’ એવું કહેવામાં આવે છે, પરંતુ અંગદાન મેળવવા વાળા લોકો અને અંગદાન કરવા વાળા લોકોમાં હજુ ઘણું મોટું અંતર છે. વિશ્વમાં અમેરિકા અને ચીન પછી અંગ ટ્રાન્સપ્લાન્ટમાં ભારત ત્રીજા સ્થાને આવે છે. ગઇકાલે વિશ્વ અંગદાન દિવસ હતો, જેને અનુલક્ષીને અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યૂટ દ્વારા જનજાગૃતિ માટે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં લોકોને અંગદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી.
અમદાવાદમાં અંગ ટ્રાન્સપ્લાન્ટમાં વેઇટિંગ ઘટાડવા માટે ઉપસ્થિત લોકોને અંગદાન કરવા માટે સંકલ્પ લેવડાવ્યો હતો. ઉપરાંત કેટલીક જાણકારી પણ આ કાર્યક્રમમાં આપવામાં આવી હતી જેમ કે, આપણાં દેશમાં થતા ટ્રાન્સપ્લાન્ટમાંથી ૮૫ ટકા જીવીત વ્યક્તિના અંગોથી અને ૧૫ ટકા જ બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનથી મળેલા અંગોની મદદથી ટ્રાન્સપ્લાન્ટ થાય છે. જ્યારે દેશની પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરની હોસ્પિટલમાં ૬૫ ટકા કિડની, ૨૫ ટકા લીવર અને ૧૦ ટકા વધુ હૃદય, ફેફસા, સ્વાદુપિંડ જેવા અંગોનું ટ્રાન્સપ્લાન્ટ થતા જોવા મળે છે. દેશમાં મળતા કુલ અંગોના દાનમાં ૮૦ ટકા મહિલાઓ થકી અંગદાન થાય છે.
આ કાર્યક્રમમામં ખાસ કરીને કિડની ઇન્સ્ટીટ્યૂટને તાજેતરમાં જ મળેલી ગર્ભાશયના પ્રત્યારોપણ અંગની ચર્ચાઓ રસપ્રદ બની રહી હતી. કેટલાક મેડિકલ કારણોસર માતૃત્વ ધારણ કરવા અક્ષમ મહિલાઓ માટે સરોગેસી અને આઇ.વી.એફ. જ એક માત્ર વિકલ્પ બચે છે ત્યારે ગર્ભાશયના પ્રત્યારોપણ ઉપલબ્ધ બનતા માતૃત્વની ઝંખના રાખતી મહિલાઓ માટે આ વરદાન રૂપ સાબિત થશે તેમ કિડની ઇન્સ્ટીટ્યૂટના ડાયરેક્ટર ડૉ. વિનીત મિશ્રાએ કહ્યું હતું.
અંગદાન કેટલું જરૂરી છે અને તેના દ્વારા કોઈને આપણે નવજીવન આપી શકીએ છે એ અંગે જાગૃતિ ફેલાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગઈ કાલે અમદાવાદ પોલીસના ઝોન 1ના DCP ડૉ. લવીના સિન્હાએ પણ ટ્વિટ કરીને લોકોને અંગદાન કરવા માટે અપીલ કરી હતી.








