નવજીવન ન્યૂઝ.વડોદરાઃ ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓ આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી થઈ રહી છે. તેવામાં ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડોદરામાં પત્રકારો સાથે સંવાદ કર્યો હતો. તેમણે આ દરમિયાન કહ્યું કે, ગુજરાતમાં વેપારીઓને ડરાવવામાં આવે છે, ખબરદાર છે જો તમે કેજરીવાલની મિટિંગમાં ગયા છો તો. ગુજરાતના વેપારીઓમાં બહુ ડર છે અમે આ ડર હટાવીને તમને ઈજ્જતની જીંદગી આપીશું.
તેમણે કહ્યું, તમે ટાઈમ પર લોન ન ભરો તો મુખ્યમંત્રી કે કોઈ તમને બચાવવા આવતું નથી. આ લોકોએ તેમના દોસ્તોના દસ લાખ કરોડ માફ કરી દીધા. કેમ? તેઓ કહે છે કે શિક્ષણ ફ્રી, હોસ્પિટલ ન હોવા જોઈએ સરકારને નુકસાન થાય. હું લોકોને પુછું છું કે બાળકોને ફ્રી એજ્યૂકેશન યોગ્ય છે કે તેમના દોસ્તોની લોન માફી?
તેમણે કહ્યું કે, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલતા ઈલુ ઈલુના રાજકારણનો અંત આવશે. હવે તો જનતાની જ રાજનીતિ ચાલશે. ભાજપ સાથે આમ આદમી પાર્ટીની સીધી ટક્કર થશે. તેમણે કહ્યું કે, આદિવાસીઓ માટે સંવિધાન 5મીની વ્યવસ્થા લાગુ કરી, પેસા કાયદાને કડક અમલ કરાવીશું. ટ્રાઈબલ એડવાઈઝરી કમિટિના ચેરમેન તરીકે પણ આદિવાસી રહે તેવી વ્યવસ્થા કરીશું. તેમના ભણતર માટે શાળાઓ ખોલીશું. આદિવાસીઓની સારવાર માટેની સુવિધાઓ ઊભી કરાશે. જેમના ઘર છત વગરના છે તેમને સારું ઘર મળશે, રોજગારી આપશું.
તેમણે કહ્યું કે, વીજળી, શિક્ષણ અને હોસ્પિટલની વાત કરો, તમે મને વોટ આપજો હું તમારા બાળકોનું ભાવી બનાવી દઈશ. આ લોકોને (ભાજપને) વોટ આપશો તો તમારા બાળકોને ઝેરી દારુ પીવડાવી દેશે. હું તેમની સાથે ઝઘડવા નથી માગતો, ગુજારતમાં અમે ચૂંટણી જીતીશું અને દરેક ગુજરાતી મુખ્યમંત્રી બનશે.








