નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે, રસ્તે જતાં લોકોને હેરાન કરવા, લૂંટવા અને માર મારવામાં આ અસામાજિક તત્વો ખચકાટ પણ નથી અનુભવતા. તાજેતરમાં અમદાવાદમા એક કિસ્સો બન્યો છે, કુબેરનગર વિસ્તારમાં 4 યુવકોએ માત્ર મોજ શોખ કરવા અને પાર્ટી કરવા માટે એક આધેડ વયના વ્યક્તિને લૂંટ કરવાના ઇરાદે માર માર્યો હતો. જેના કારણે આ વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ અંગે અમદાવાદનાં મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને હાલ આ 4 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
આ ઘટનાની પ્રાથમિક જાણકારી મુજબ, કુબેરનગર વિસ્તારમાં હરિયાળી પાન પાર્લર પાસે મયુર સિંધી, સુનિલ યાદવ, જતીન જાગલાણી અને સાહિલ સાલવાની બેઠા હતા અને તેમણે પાર્ટી કરવાનું વિચાર્યું હતું, પરંતુ પાર્ટી કરવા માટે તેમની પાસે પૂરતા પૈસા ન હોવાના કારણે તેમણે અગાઉથી જ કોઈને મારીને લૂંટ કરી પાર્ટી કરવાનું નક્કી કર્યું હતું. તે દરમિયાન રામકુમાર ભૂમિયાર છારાનગર તરફથી કુબેરનગર તરફ ચાલીને આવતા હતા, ત્યારે આ ચારેય યુવકોએ તેમને પકડી લીધા હતા અને તેમની સાથે ગડદાપાટુ કરીને તેમનું પાકીટ અને મોબાઈલ લૂંટી લીધા હત, જ્યારે રામકુમારે તેમને ગાળો બોલી તો આ ચારેય યુવાનોએ તેમને વધુ માર માર્યો હતો, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું.
ત્યાર બાદ આ અંગે અમદાવાદનાં મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે હાલ પોલીસ દ્વારા આ ચારેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.








