નવજીવન ન્યૂઝ. જામનગર: જામનગરમાં તાજેતરમાં બદલી થઈને આવેલા SP પ્રેમસુખ ડેલુ ગઇકાલે જામનગરના જીંજુડા ગામમાં લેન્ડીંગ પોઈન્ટની તપાસ સહીત કેટલાક વ્યક્તિઓની તપાસ પૂછપરછ માટે પહોંચ્યા હતા. આ તપાસ દરમિયાન થોડા સમય પૂર્વે ATS દ્વારા મોરબી જીલ્લાના જીંજુડા ગામમાંથી ઝડપાયેલા ડ્રગ્ઝ કેસના આરોપી ઈશા હુશૈનના ઘરે તપાસ પૂછપરછ માટે પહોંચ્યા હતા. જ્યાં બે માળના મકાન અંગેના લાઈટ બીલ સહિતના પુરાવાઓ SP પ્રેમસુખ ડેલુ દ્વારા માગવામાં આવતા હાજર પરિવારે લાઈટ બીલ જોવા માટે આપ્યું હતું, ત્યારે એક કનેક્શનમાં 250 જેટલું જ્યારે બીજા કનેક્શનમાં 500 જેટલું બીલ જોવા મળતા ખુદ SP પણ ચોંકી ઉઠ્યા હતા કે આવી જાહોજલાલી અને આટલું બીલ કેવી રીતે શક્ય બને?
SP પ્રેમસુખ ડેલુએ ઘરનું નિરીક્ષણ કર્યું તો ઘરમાં દરેક પ્રકારના ઇલેક્ટ્રીક ઉપકરણો જેવા કે AC, ફ્રિજ, ઘરઘંટી અને અનેક લાઇટ છે. આવી જાહોજલાલી હોવા છતાં ઘરનું લાઇટબીલ 250 અને 500 રૂપિયા કેવી રીતે આવ્યું, તે જાણવા માટે તેમણે તાત્કાલિક PGVCLને સંપર્ક કર્યો અને અધિકારીઓને તપાસ માટે બોલાવ્યા હતા. PGVCLની તપાસમાં સામે આવ્યું હતું કે આ બંને કનેક્શનમાં વીજળીના મીટરમાં ટેમ્પરીંગ કરવામાં આવ્યું છે અને વીજચોરી કરવામાં આવી રહ્યું છે. ત્યાર બાદ PGVCL દ્વારા કાયદેસરની કાર્યવાહી કરીને એક કેસમાં 2.80 લાખ અને બીજા કેસમાં 2.65 લાખનું બીલ ફટકારી આ બંને કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે.
આ અંગે વાત કરતાં જામનગર SP પ્રેમસુખ ડેલુએ જણાવ્યુ હતું કે, “હું અને મારી ટિમ સામાન્ય રીતે આવી રીતે તપાસ માટે નીકળતા જ રહીએ છે. જ્યારે અમે જીંજુડા ગામમાં તપાસ માટે પહોંચ્યા ત્યારે ATS દ્વારા થોડા સમય અગાઉ મોરબીથી પકડવામાં આવેલા ડ્રગ્સ કેસના ફરાર આરોપી ઈશા હુશૈનના ઘરે પૂછપરછ માટે પહોંચ્યા હતા. ત્યાં અમે જોયું કે વીજળીના બે કનેક્શનમાં માત્ર 250 એને 500 રૂપિયા જ લાઇટબીલ આવ્યું છે તો અમને શંકા ગઈ અને તપાસ માટે PGVCLને આ અંગે જાણ કરી હતી.”
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, “જ્યારે PGVCLના અધિકારીઓએ તપાસ કરી તો જાણવા મળ્યું કે આ બને કનેક્શનના મીટરમાં ટેમ્પરીંગ કરવામાં આવ્યું છે. જેના કારણે PGVCL દ્વારા તેમના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. ત્યાર બાદ અમે જમીન માપણી કરવા અને પાણીના કનેક્શન ચકાસવા માટે પણ જે તે સંબંધિત વિભાગોને જાણ કરી છે. તેમાં પણ જો કોઈ ગેરકાયદે જોડાણ જોવા મળશે તો તેમના ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.”
SP પ્રેમસુખ ડેલુ અગાઉ અમદાવાદમા DCP તરીકે ફરજ બજાવતા હતા તે સમયે પણ સામાન્ય રીતે તેમણે AMCને સાથે રાખીને લેન્ડ ગ્રેબિંગના ગુનેગારો સામે કાર્યવાહી કરી હતી. તેમનું કહેવું છે કે હું સામાન્ય રીતે અન્ય એજન્સીના અધિકારીઓને સાથે રાખીને કામ કરું છું. આવું કરવાથી તે એજન્સીના કર્મચારીઓનું મનોબળ વધે છે. કારણ કે આવા માથાભારે તત્વો તેમને પોતાની પ્રોપર્ટીમાં ઘૂસવા નથી દેતા, જો પોલીસ તેમની સાથે રહે તો તેમનું મનોબળ વધે છે અને તેમણે યોગ્ય કાર્યવાહી કરી શકે છે.








