નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજવા જઇ રહી છે. તેવામાં આ વખતે ભાજપ કોંગ્રેસની સાથે આપ પણ ચૂંટણીની તૈયારીમાં લાગ્યું છે અને અલગ અલગ જાહેરાતો અને નિવેદનો આપવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના નિવેદન વિવાદનું કારણ બન્યું છે. ત્યારે આજે બજરંગ દાળ દ્વારા કોંગ્રેસ ઓફિસ પર જઈને તેને હજ હાઉસ નામ આપી દીધું હતું.

માહિતી અનુસાર, તાજેતરમાં કોંગ્રેસ માઈનોરિટી સેલના કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જાહેર મંચ પરથી એક નિવેદન આપ્યું હતું. તેમણે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિવેદનને ટાંકીને જણાવ્યુ હતું કે દેશના સંસાધનો પર સૌથી પહેલો હક લઘુમતી વર્ગનો છે.આજે પણ કોંગ્રેસ પોતાની આ વિચારધારા સાથે જોડાયેલી છે. આવું બોલવાથી કેટલું નુકસાન થયું હતું અને કેટલું થશે એનો અંદાજ હોવા છતાં કોંગ્રેસ પાર્ટી પોતાની વિચારધારાને વરેલી છે. આ નિવેદન ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે શાબ્દાહિક પ્રહારો શરૂ થઈ ગયા છે.
જગદીશ ઠાકોરના નિવેદન બાદ બજરંગદળ હરકતમાં આવ્યું છે. બજરંગદળ દ્વારા ગુરુવાર રાત્રે કોંગ્રેસ કાર્યાલય બહાર લાગેલા નેતાઓના પોસ્ટર પર કાળી શાહી લગાવી હતી અને દીવાલો પર હજ હાઉસ નામ લખીને વિરોધ નોંધાવ્યો હતો. ઉપરાંત કોંગ્રેસ કાર્યાલય બહાર આવેલી રાજીવ ગાંધીની પ્રતિમા પર પોસ્ટર લગાવ્યા હતા. જો કે કોંગ્રેસ દ્વારા આજ સવારથી જ તમામ વસ્તુઓને હટાવીની કામગીરી કરવામાં આવી રહી છે.








