સુરતના અઠવાલાઇન્સ જિલ્લા પંચાયત ક્વાટર્સમાં ગત 31 જુલાઇના રોજ શિક્ષક અલ્પેશ સોલંકીએ પોતના સાત અને અઢી વર્ષના બે પુત્રોને ઝેર આપી મોતને ઘાટ ઉતારી પોતે પણ ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. આ સમગ્ર મામલે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પત્ની ફાલ્ગુનીનું તેની ઓફિસમાં અધિકારી સાથે અફેર હતું જેને લઇને પતિએ બે સંતાનોને ઝેર આપી પોતે પણ મોતને વ્હાલું કરી લીધું.
મૂળ વતન સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામના વતની અલ્પેશ સોલંકી શિક્ષક તરીકે નોકરી કરતો હતો. જ્યારે તેની પત્ની ફાલ્ગુની (જિલ્લા પંચાયત ક્લાર્ક) તરીકે નોકરી હતી. પત્ની ફાલ્ગુનીને નરેશ રાઠોડ (ખેતીવાડી વિસ્તરણ અધિકારી) અફેર હતું. ઉલ્લેખનીય છે કે અલ્પેશ સાથે લવમેરેજ કર્યા પછી ફાલ્ગુનીએ નરેશ સાથે અફેર કર્યું હતું.
પત્નીના લગ્નેતર સંબંધો અંગે પતિ અલ્પેશને જાણ થતાં તેણે પત્ની ફાલ્ગુનીને સમજાવી હતી પરંતુ પત્નીએ છતાં પણ આ સંબંધો ચાલુ રાખ્યા હતા. જેથી પતિ ખૂબ જ માનસિક તાણ અનુભવતો હતો અને તેમનું બીજું બાળક પત પત્નીના અફેરને કારણે નરેશનું હોવાનું તેના મનમાં શંકા હતી. જેથી આખરે અલ્પેશે સુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી લીધી હતી.
‘હું બહાર નીકળું એટલે એ નરેશને ઘરે બોલાવી લેતી’
અલ્પેશે બે ડાયરી અને સ્યુસાઇડ નોટ લખી હતી. છેલ્લા 1 મહિનાથી અલ્પેશ રોજ ડાયરીમાં વેદના લખતો હતો. તેણે એવું પણ લખ્યું હતું કે, હું વન લેડી મેન હતો અને ફાલ્ગુની મને કહેતી કે ‘અફેર હોવા જ જોઇએ’. હું બહાર નીકળું એટલે એ નરેશને ઘરે બોલાવી લેતી.’ અફેર તોડી નાખવાને બદલે ફાલ્ગુનીએ એવું કહ્યું કે, તારે મરી જવું હોય તો મરી જા. મને મારી લાઇફ જીવવા દે.’ તેણે એવું પણ લખ્યું હતું કે, ‘ફાલ્ગુની અને નરેશને અફેર તોડી નાખવા સમજાવ્યા હતા, પણ તેઓ માન્યા ન હતા.’
નરેશની પહેલી પત્નીનું મૃત્યુ, બીજી છોડીને જતી રહી અને ફાલ્ગુની જોડે અફેર
અલ્પેશના ભાઇ જીજ્ઞેશ સોલંકી (રહે, અરૂણ ઉદય સોસાયટી, બમરોલી)એ બંને વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. નરેશની પહેલી પત્નીનું મૃત્યુ થયું હતું, બીજી છોડીને જતી રહ્યા પછી અફેર થયું. નરેશ રાઠોડની પહેલી પત્નીનું મૃત્યુ થયું હતું. એક દીકરો હતો. બીજી સ્ત્રી સાથે લિવ-ઇનમાં રહેતો હતો. તે સ્ત્રી તેને છોડીને જતી રહી હતી. પોતાની જ સાથી કર્મચારી ફાલ્ગુની સાથે અફેરમાં જોડાયો હતો.
પતિ-પત્નીએ 15 દિવસ પહેલા જ એકબીજાના ટેટુ ચિતરાવ્યા હતા
આપઘાતના 15 દિવસ પહેલાં એટલે કે 15 જુલાઈએ અલ્પેશે પોતાના હાથ પર પત્ની ફાલ્ગુનીનું ટેટૂ ત્રોફાવ્યું હતું. જ્યારે ફાલ્ગુનીએ અલ્પેશનું ટેટુ બનાવડાવ્યું હતું. આ દરમિયાન જ્યારે આર્ટિસ્ટે તેમને પૂછ્યું કે આટલા વર્ષો પછી તમે કેમ ટેટૂ કરાવો છો ત્યારે જવાબમાં અલ્પેશે કહ્યું હતું કે હું મારી પત્નીને સરપ્રાઇઝ આપવા માંગુ છું.
એક જ ચિતા પર પિતા-બે પુત્રોના અંતિમસંસ્કાર
શનિવારે અલ્પેશ સોલંકી અને તેના બે પુત્રોના અંતિમસંસ્કાર વતન ચિઠોડા ગામમાં કરવામાં આવ્યા હતા. જ્યાં એક જ વિશાળ ચિતા પર ત્રણેયને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન ગામ હિબકે ચડ્યું હતું. જ્યારે અલ્પેશના ભાઇએ તેના ભાભી અને નરેશને આ બનાવ માટે જવાબદાર ઠેરવી કડક સજાની માંગણી કરી હતી.








