નવજીવન ન્યૂઝ, રાજકોટ : અનેક બેઠકો પર BJP બિનહરીફ થઈ છે તેની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતની મહાનગરપાલિકાના ચૂંટણી જંગમાં નિલેશ કુંભાણી જેવો ‘ખેલ’ ફરી ના થાય તેના માટે કૉંગ્રેસે મજબૂત ઉમેદવારો (Congress Candidates) ને ‘નજરકેદ’ કર્યા છે. ભારતીય જનતા પાર્ટી કૉંગ્રેસના ઉમેદવારો સાથે ગોઠવણ કરી ફોર્મ પરત ખેંચાવે તેવી ભીતિના પગલે કૉંગ્રેસ હાઇકમાન્ડે આદેશ આપ્યો છે.
ચૂંટણી ફોર્મની ચકાસણી આજે પૂર્ણ થઈ છે. કૉંગ્રેસને ડર છે કે, તેમના મજબૂત ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટી યેનકેન પ્રકારે ફોર્મ પરત લેવડાવી શકે છે. ભૂતકાળમાં નિલેશ કુંભાણીની બનેલી ઘટનામાંથી કૉંગ્રેસ બોધપાઠ લીધો હોઈ શકે છે. રાજકોટ શહેર કૉંગ્રેસ (Rajkot City Congress) માં ચર્ચા અનુસાર જુના અને પીઢ કોંગ્રેસી આગેવાનોની ટિકિટ આપી છે. તેમને બાદ કરતા બાકીના 25 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા છે. જેમને બુધવારે સાંજે રાજકોટ પરત લાવવામાં આવશે. આ વર્ષે કૉંગ્રેસ પક્ષના એક પણ ઉમેદવારને ભાજપ દબાવી ડરાવી ફોર્મ પરત નહીં ખેંચાવી શકે તેવો દાવો પક્ષના નેતાઓ કરી રહ્યાં છે.
બીજી તરફ સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી (Surat Municipal Corporation Elections) પૂર્વે કોંગ્રેસે નિલેશ કુંભાણી પ્રકરણમાંથી બોધપાઠ લઈને સુરત કૉંગેસ (Surat Congress) ના 40 જેટલા મજબૂત ઉમેદવારોને 11 જેટલા ગુપ્ત સ્થળ પર ખસેડાયા છે.








