નવજીવન ન્યૂઝ, સુરત : ડાયમંડ સિટી સુરત (Diamond City Surat) માં આવેલું એરપૉર્ટ હવે માત્ર નામનું ઈન્ટરનેશનલ એરપૉર્ટ હોય તેવું સુરતવાસીઓને લાગી રહ્યું છે. સુરત-બેંગકોક ફ્લાઈટ (Surat-Bangkok flight) આગામી એક જુલાઈથી બંધ થઈ રહી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસે 1 જુલાઈથી સુરત-બેંગકોક ફ્લાઈટનું બુકિંગ લેવાનું બંધ કરી દીધું છે. અત્રે નોંધનીય છે કે, સુરત એરપોર્ટથી કુલ 5 ઈન્ટરનેશનલ ફ્લાઈટ ઉડાન ભરતી હતી તે પૈકી ત્રણ બંધ કરી દેવાઈ છે. સુરતની આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી આગામી સમયમાં વધુ બગડી શકે તેવી શક્યતાઓ છે.
સુરત એરપોર્ટ પરથી સુરત-બેંગકોકની ડાયરેક્ટ ફ્લાઈટ અઠવાડિયામાં ચાર દિવસ સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે સુરતથી ઉપડતી હતી. એર ઈન્ડિયા એક્સપ્રેસે બુકિંગ લેવાનું બંધ થઈ જતાં આ રૂટ પર ફ્લાઇટ્સ જુલાઈથી સંપૂર્ણપણે બંધ થઈ જશે. શિયાળાના સમયપત્રક અનુસાર કુલ પાંચ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું Surat International Airport પરથી સંચાલન થતું હતું. જેમાં દુબઈ, શારજાહ અને બેંગકોકની ફ્લાઇટ્સનો સમાવેશ થતો હતો.
સુરતથી બેંગકોકની ફ્લાઈટ બંધ
હવે 29 માર્ચથી 24 ઓક્ટોબર દરમિયાન લાગુ થયેલા ઉનાળાના સમયપત્રકમાં ફ્લાઇટની સંખ્યા ઘટાડીને ત્રણ કરાઈ હતી, બે દુબઈ અને એક બેંગકોકની ફ્લાઈટ. જોકે, બેંગકોકની ફ્લાઈટ બંધ કરવાના નિર્ણયને પગલે હવે જુલાઈથી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી માત્ર બે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ઓપરેટ થશે. ગત 29 માર્ચથી શારજાહ ફ્લાઈટ પણ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. જ્યારે દુબઈની એક વધારાની ફ્લાઈટને પણ સમયપત્રકમાંથી દૂર કરવામાં આવી હતી. આ અંગે સ્થાનિક લોકોમાં પણ રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.








