નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ RTO ને બૉમ્બથી ઉડાવવી દેવાની ધમકી મળી છે. આ ધમકીના પગલે પોલીસ તંત્ર તેમજ ડૉગ સ્કવૉડ, બૉમ્બ સ્કવૉડે તપાસ શરૂ કરી દીધી છે. સુરક્ષાના ભાગરૂપે આસપાસનો વિસ્તાર ખાલી કરી દેવાયો છે. Ahmedabad RTO બિલ્ડીંગમાં આવેલી દુકાનો અને ઉપરના ભાગે આવેલા રહેણાંક ખાતેથી લોકો બહાર દોડી આવ્યાં છે. ફાયર વિભાગ પણ ગાડીઓ સાથે ઘટના સ્થળે પહોંચી ગયો છે. અત્રે નોંધનીય છે કે, છેલ્લાં કેટલાંક મહિનાથી ન્યાય સંકુલો, સરકારી ઑફિસો, વિધાનસભા તેમજ સ્કુલોમાં બૉમ્બ મુકાયા હોવાની અનેક ધમકીઓ મળી ચૂકી છે.
પાલ સ્થિત Surat RTO Office ને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. સુરક્ષાના ભાગરૂપે પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી RTO કચેરીની બહાર બેરિકેટ લગાવી દેવામાં આવ્યા છે અને સામાન્ય જનતાની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ, SOG, બૉમ્બ સ્ક્વૉડ અને ડૉગ સ્ક્વૉડની ટીમોએ સમગ્ર પરિસરનો કબજો લઈ સઘન સર્ચ હાથ ધર્યું છે. આવી જ રીતે અમદાવાદ આરટીઓ, વડોદરા તેમજ Rajkot RTO ખાતે તંત્રએ તપાસ શરૂ કરી છે. ડ્રાઈવિંગ ટેસ્ટ માટે આવેલા લોકોને પરત મોકલી દેવાયા છે. જેમને ટ્રેક ટેસ્ટ માટે ફરીથી તારીખ મેળવવાની રહેશે. જ્યારે અન્ય કામ અર્થે આવેલા અરજદારોને તપાસ પ્રક્રિયા બાદ કચેરીમાં જવા દેવામાં આવશે.
કેટલાંક અજાણ્યા તત્વો દ્વારા છેલ્લાં કેટલાંક મહિનાઓથી ગુજરાતમાં ભયનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જુદીજુદી સરકારી કચેરીઓ તેમજ સ્કૂલ્સને પણ અનેક વખત બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી ચૂકી છે. ગત 12 માર્ચના રોજ અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જ્યારે 9 માર્ચના રોજ Gujarat High Court અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈ-મેલ મારફતે મળી હતી.








