નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગુજરાતના પાટનગરમાં છેલ્લા કેટલાક દિવસથી આંદોલન નગરી બની છે. રાજ્યના અલગ-અલગ સંગઠનો અને કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માગણીઓને લઈને ગાંધીનગરમાં ધામા નાખીને આંદોલન કરી રહ્યા છે. હાલ ગાંધીનગરમાં 15થી વધુ આંદોલન ચાલી રહ્યા છે. ઉપરાંત 3 સંગઠનોની માગને સરકારે સ્વીકારવાની બાંહેધરી આપતા આંદોલન સમેટાઈ ગયું છે. તેવામાં ગાંધીનગરમાં આંદોલન કરી રહેલા આંદોલનકારીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે.
ગાંધીનગરમાં ચાલી રહેલા આંદોલનને રોકવા માટે હવે ગાંધીનગર પોલીસ એક્શનમાં આવી હોય તે પ્રકારે ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. ગાંધીનગરના DySP એમ.કે રાણા જણાવ્યું છે કે, ગાંધીનગર જીલ્લા પોલીસ દ્વારા આરોગ્ય કર્મચારી કે કોઈ આંદોલનકારીઓને કોઈ પણ પ્રકારની રેલી અને ધરણાં માટે મંજૂરી આપવામાં આવી નથી. આજે 23 તારીખએ પણ કોઈ મંજૂરી આપવમાં આવી નથી. જેથી આંદોલન કરી રહેલા કર્મચારીઓ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી કે વિસ્ટા ગાર્ડન પાસે ભેગા થવું નહીં અને રેલીનો પ્રયત્ન કરવો નહીં. જોકો આંદોલનકારી દ્વારા આવું કોઈ કૃત્ય કરવામાં આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.








