નવજીવન ન્યૂઝ.વડોદરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વડોદરાના પ્રવાસે પહોંચ્યા છે, જ્યાં તેઓ ‘સરદાર ધામ’નું લોકાર્પણ કરશે. વડાપ્રધાનના આગમનને લઈ શહેરમાં ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હરણી ગદા સર્કલથી જૂના એરપોર્ટ સુધી વિશાળ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે PMના કાર્યક્રમ પહેલા જ વડોદરામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે.
વોર્ડ નંબર 15ના કોંગ્રેસ નેતા અને કોર્પોરેટર આશિષ જોશીએ આરોપ લગાવ્યો છે કે પાણીગેટ પોલીસ સ્ટેશન અને ક્રાઈમ બ્રાન્ચના પોલીસકર્મીઓએ તેમના નિવાસસ્થાન બહાર અઘોષિત રીતે નજર રાખવા માટે પહેરો ગોઠવ્યો હતો. આશિષ જોશીને શંકા જતાં તેમણે ઘરની બહાર સાદા ડ્રેસમાં ઉભેલા પોલીસકર્મીઓને સવાલો પૂછવાનું શરૂ કર્યું હતું.
મીડિયાના કેમેરા સામે આવતા જ પોલીસકર્મીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. આરોપ મુજબ એક પોલીસકર્મી તો સવાલોથી બચવા નજીક આવેલા મંદિરના ટોયલેટમાં જઈ છુપાઈ ગયો હતો. કોર્પોરેટરે વારંવાર દરવાજો ખખડાવતા અને બૂમો પાડતા પોલીસકર્મી બહાર આવ્યો હતો.
બહાર આવ્યા બાદ પોલીસકર્મીએ દાવો કર્યો હતો કે તે મહાદેવના દર્શન કરવા આવ્યો હતો અને ટોયલેટ લાગતા અંદર ગયો હતો. જોકે કોર્પોરેટરે પોલીસકર્મીને સવાલ કર્યો હતો કે શું તે દરરોજ અહીં દર્શન કરવા આવે છે અને કયા અધિકારીના આદેશથી અહીં આવ્યો હતો. આ સવાલોના સંતોષકારક જવાબ પોલીસકર્મી આપી શક્યો નહોતો.
આ સમગ્ર ઘટનામાં વધુ એક પોલીસકર્મી પણ કેમેરામાં કેદ થયો હતો, જે સવાલોના જવાબ આપવાને બદલે પોતાના બૂટ પહેર્યા વગર જ રોડ પર દોડતો નજરે પડ્યો હતો. ઘટનાના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
આશિષ જોશીએ આ મામલે સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે સરકાર હરણી લેક ઝોન પાસે રોડ શો કરી રહી છે, પરંતુ હરણી બોટ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બાળકો અને શિક્ષિકાઓને હજુ સુધી ન્યાય મળ્યો નથી. તેમણે સવાલ કર્યો હતો કે વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓને નજરકેદ કેમ રાખવામાં આવે છે અથવા તેમના પર સતત નજર કેમ રાખવામાં આવે છે.
વડાપ્રધાનના પ્રવાસને પગલે સમગ્ર વડોદરામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જોકે કોંગ્રેસ કોર્પોરેટરના આક્ષેપો બાદ રાજકીય માહોલ વધુ ગરમાયો છે.








