નવજીવન ન્યૂઝ. કચ્છઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોટા દાવા કરી રહેલી આમ આદમી પાર્ટીને ચૂંટણી પહેલા જ વધુ એક ઝટકો લાગ્યો છે. કચ્છ જિલ્લાની અબડાસા વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર વસંત વાલજીભાઈ ખેતાણીએ પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. તેમણે ભાજપના ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત કરી છે. ખેતાણીએ રવિવારે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું અને, જનતાને ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને જીતાડવાની અપીલ કરી હતી.
ગુજરાતની 182 સભ્યોની વિધાનસભાની ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન થશે. કચ્છમાં પ્રથમ તબક્કામાં મતદાન યોજાશે. કચ્છમાં અબડાસા, ભુજ અને પાકિસ્તાનની સરહદે આવેલા રાપર ઉપરાંત માંડવી, અંજાર અને ગાંધીધામ સહિત 6 વિધાનસભા મતવિસ્તારો છે. 2017માં ભાજપે 4 બેઠકો જીતી હતી, જ્યારે રાપર અને અબડાસામાં કોંગ્રેસનો વિજય થયો હતો. અબડાસાના ધારાસભ્યએ 2020માં પાર્ટી છોડી દીધી હતી અને બાદમાં ભાજપમાંથી ચૂંટણી જીતી હતી. આ વર્ષની ચૂંટણીમાં AAPએ કચ્છની તમામ 6 બેઠકો માટે ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં અબડાસાના ઉમેદવાર છેલ્લી ઘડીએ ફુટી ગયા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારે લેખિતમાં દાવો કર્યો હતો કે આગામી વિધાનસભા ચૂંટણીમાં AAP ગુજરાતમાં સરકાર બનાવશે. સુરતમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કેજરીવાલે કહ્યું કે દિલ્હી અને પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે તેમની ભવિષ્યવાણી સાચી પડી છે અને ગુજરાતમાં પણ આવું જ થશે.
આ વખતે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે ત્રિકોણીય જંગ છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. ભાજપે મોટા ભાગના શહેરી વિસ્તારોમાં જીત મેળવી હતી, જ્યારે કોંગ્રેસે ગ્રામીણ વિસ્તારોમાં સારો દેખાવ કર્યો હતો. 2017ની ચૂંટણીમાં AAPએ 29 બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જેમાંથી એક પણ ઉમેદવાર ખાતુ પણ ખોલી શક્યા ન હતા.
મહત્વની વાત છે કે, સુરત પૂર્વના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચર ઝરીવાલાએ પણ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. ઝરીવાલાએ પણ ભાજપને સમર્થન જાહેર કર્યુ હતું. કંચન ઝરીવાલાએ ઉમેદવારી પરત ખેંચતા આમ આદમી પાર્ટીના નેતાઓએ આક્ષેપ કર્યા હતા કે ભાજપના ગુંડાઓએ તેમને ધમકાવ્યા હતા. ઉપરાંત ઉમેદવારી ખેંચે તેની પહેલા જ કંચન ઝરીવાલાના અપહરણના આક્ષેપો પણ આમ આદમી પાર્ટીના કેજરીવાલ સહિતના નેતાઓ દ્વારા કરવામાં આવ્યા હતા.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








