નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ કર્ણાટક સરકારની ‘હર ઘર તિરંગા’ જાહેરાત કારણે નવો વિવાદ ઉભો થયો છે. કર્ણાટક સરકારે PM મોદીના ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરીને અખબારમાં એક જાહેરાત પ્રકાશિત કરી હતી. આ જાહેરાતમાં દેશની આઝાદીમાં મુખ્ય ભૂમિકા ભજવનારા સ્વાતંત્ર્ય સેનાનીઓને સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ અહિયાં અગત્યની વાત એ છે કે રાજ્ય સરકારની આ જાહેરાતમાં દેશના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ જોવા મળ્યા ન હતા, જ્યારે વિનાયક સાવરકરને આ જાહેરતમાં જગ્યા આપવામાં આવી છે. આ જાહેરાત 14મી ઓગસ્ટના રોજ પ્રકાશિત કરવામાં આવી હતી. હવે કર્ણાટક કોંગ્રેસે રાજ્ય સરકારની આ જાહેરાત પર પોતાની આકરી પ્રતિક્રિયા આપી છે.
બીજી તરફ, ભારતના બીજા ‘ભાગલા વિભિષિકા મેમોરિયલ ડે’ના અવસર પર, ભાજપે એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં ભાજપે 1947ની ઘટનાઓ પર તેમનું વર્ઝન બહાર પાડ્યું છે. સાત મિનિટના આ વીડિયોમાં ભારતના ભાગલા માટે જવાહરલાલ નેહરુને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. પાકિસ્તાન બનાવવા માટે મોહમ્મદ અલી ઝીણાની આગેવાની હેઠળની મુસ્લિમ લીગની માગને વશ થવા માટે નેહરુને દોષી ઠેરવવામાં આવે છે.
આ વીડિયો પર કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે 14 ઓગસ્ટને વિભાજન વિભિષિકા સ્મારક દિવસ તરીકે ઉજવવા પાછળનો વડા પ્રધાનનો વાસ્તવિક હેતુ તેમના રાજકીય લાભ માટે સૌથી પીડાદાયક ઐતિહાસિક ઘટનાઓનો ઉપયોગ કરવાનો છે. સાથે જ તેમણે કહ્યું કે, ‘આધુનિક સાવરકર અને ઝીણાના દેશના ભાગલા પાડવાના પ્રયાસો આજે પણ ચાલુ છે.’
જ્યારે બીજી તરફ કર્ણાટકના શિવમોગ્ગા જિલ્લામાં RSSના વિચારક વીડી સાવરકરની તસવીર ધરાવતા બેનરને લઈને બે જૂથો વચ્ચે થયેલી અથડામણને પગલે વહીવટીતંત્રે મોટા મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો છે. અથડામણની ઘટનામાં એક વ્યક્તિને છરીના ઘા ઝીંકાયા હતા. મળતી માહિતી મુજબ, અમીર અહેમદ સર્કલ પર સાવરકરનું બેનર લગાવવા પર એક ખાસ સમુદાયના લોકોએ હિંદુત્વવાદી કાર્યકર્તાઓનો વિરોધ કર્યો હતો. જે બાદ બંને પક્ષો વચ્ચે વિવાદ વધવા લાગ્યો હતો. હુમલાની આ ઘટના દરમિયાન એક વ્યક્તિ ઘાયલ થયો હતો, જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.








