નવજીવન ન્યૂઝ, જામનગર : જામનગરમાં નેવી અધિકારીઓ (Jamnagar Navy Officers) ની કારને અકસ્માત નડતા એકનું મોત નિપજ્યું છે. જ્યારે બે અધિકારીઓને ઇજાઓ પહોંચી છે. આઈ.એન.એસ. વાલસુરા નજીક બનેલી આ ઘટનાના પગલે નેવીના ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસ સ્થળ પર દોડી આવી હતી. જામનગર પોલીસે (Jamnagar Police) આ મામલે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.
જામનગરના વાલસુરા રોડ પર રવિવારે થયેલા માર્ગ અકસ્માતમાં નેવીના એક તાલીમાર્થી અધિકારીનું મૃત્યુ થયું છે. પ્રાથમિક વિગતો અનુસાર ત્રણ તાલીમાર્થી નેવી અધિકારીઓ પૂણેમાં તાલીમ પૂર્ણ કરીને મુંબઈથી ફ્લાઈટ દ્વારા જામનગર પહોંચ્યા હતા અને ત્યારબાદ કારમાં INS Valsura તરફ જઈ રહ્યા હતા.
તે સમયે આ અકસ્માત સર્જાયો હતો. અનુવ્રત પાંડે કાર ચલાવી રહ્યાં હતા તે સમયે અચાનક જ કારનું એક વ્હીલ નીકળી જતાં તેમણે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર પલટી મારીને રસ્તાની બાજુમાં ઉતરી ગઈ હતી. કારમાં પાછળની સીટ પર બેસેલા તાલીમાર્થી અધિકારી અંશુ ગાડીમાંથી બહાર ફંગોળાઈને પટકાતા તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત અધિકારીને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમણે રસ્તામાં દમ તોડી દીધો હતો. આ અકસ્માતમાં અનુવ્રત પાંડે અને સબ લેફ્ટનન્ટ સૌમ્યારંજન સાહુને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.








