નવજીવન ન્યૂઝ. સુરત: સુરતમાં ક્રાઇમ રેટ સતત વધી રહ્યો છે, તો તેની સામે પોલીસની પણ સતર્કતા વધી રહી છે. તેમ છતાં ગુનેગારો પોલીસથી એક ડગલું આગળ જ ચાલે છે અને નવા નવા કીમિયા અપનાવીને લોકો સાથે છેતરપિંડી કરીને તેમને છેતરતા હોય છે. તાજેતરમાં સુરતમાં એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં આરોપીઓ બેન્કની બહાર વોચ રાખીને બેસી રહેતા હતા અને ત્યાર બાદ લોકોને છેતરીને તેમને કાગળ આપીને પૈસા લઈને ભાગી જતાં હતા. હાલ આ આરોપીઓને પોલીસે પકડી લીધા છે.
પ્રાથમિક જાણકારી મુજબ, સુરતના ઉધના વિસ્તારમાં આવેલી યુનિયન બેન્કમાં અનિલ શર્મા નામના વ્યક્તિ પૈસા જમા કરવવા ગયા હતા, તે દરમિયાન બે વ્યક્તિઓ પહેલીથી જ ત્યાં હજાર હતા. આ બંને વ્યક્તિઓએ અનિલ શર્માને વાતોમાં ફસાવી લીધા હતા અને ત્યાર બાદ તેમના રોકડા 42 હજાર રૂપિયાની જગ્યાએ કાગળનું બંડલ આપીને ફરાર થઈ ગયા હતા. ત્યાર બાદ અનિલ શર્માએ ઉધના પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરી હતી.
અનિલ શર્મા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી. તે દરમિયાન ઉધના પોલીસ દ્વારા બાતમીના આધારે અનિલ શર્મા સાથે છેતરપિંડી કરવા વાળા કમલેશ ઉર્ફે રાજ અને અભિષેક યાદવની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે પકડાયેલા આરોપી કમલેશ સામે સુરતના અન્ય 7 જેટલી ફરિયાદ નોંધવામાં આવી છે.








