નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં અનેક જગ્યાઓ ઉપર આઝાદીની લડતમાં ભાગ લેનારા લડવૈયાના સ્ટેચ્યુ મૂકવામાં આવ્યા છે. આમ તો આજકાલ દેશમાં ગાંધીજીનું અપમાન કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે પણ હવે આમાં સુભાષચંદ્ર બોઝ જેવા નેતાનો પણ સમાવેશ કરી લેવામાં આવ્યો છે. તાજેતરમાં એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં રાજકોટમાં એક કવિ સંમેલનમાં એક કથિત રાષ્ટ્રવાદી કવિ દ્વારા ગાંધીજીને અપમાનિત કરતી કવિતા બોલવામાં આવી હતી.
ત્યારે હવે રાજકોટમાં જ ગાંધીજીના અપમાનનો એક નવો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના ધોરાજીમાં ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું અપમાન કરવામાં આવ્યું હોય તેવી એક ઘટના સામે આવી છે. કેટલાક અસામાજિક તત્વોએ ગાંધીજીની પ્રતિમા પરથી ચશ્માની ચોરી કરી લીધી હતી અને સુભાષચંદ્ર બોઝની પ્રતિમાના બંને પગ દોરી દ્વારા બાંધી દીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ધોરાજીનો આ વિસ્તાર CCTVથી સજ્જ અને લોકોની અવર જવર વાળો વિસ્તાર છે તેમ છતાં આ ઘટના અંગે હજુ સુધી કોઈ ખૂલશો થયો નથી.
ઘોરાજી શહેરના ત્રણ દરવાજા ચોકમાં આવેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્ટેચ્યુ પરથી ગઇકાલે કેટલાક અસામાજીક તત્વો દ્વારા ગાંઘીજીના ચશ્મા ચોરી કરી લેવાની ઘટના સામે આવી છે. આ વિસ્તારમાં CCTV કેમેરા હોવા છંતા કોણ ચશ્મા કાઢી ગયું તેની કોઇ માહિતી સામે આવી નથી. આ અંગે સ્થાનિકોએ તપાસ કરી આરોપીઓને કાયદાનું ભાન કરાવવાની માગ કરી છે.
રાજકોટના પારેવડી ચોકમાં નેતાજી સુભાષચંદ્ર બોઝનું સ્ટેચ્યુ આવેલું છે. કોઇ માનસિક વિકૃત વ્યક્તિએ આ સ્ટેચ્યુના બંને પગ બાંધી દીધા હતા. આ સ્થળે પણ આઇ-વે પ્રોજેક્ટ હેઠળના CCTV કેમેરા લાગેલા છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકોની ભૂલ શોઘીને મેમા મોકલનારી પોલીસને આ ગુનો કરનાર વ્યક્તિ કેમેરામાં દેખાયો ન હતો. આમ તો નેતાઓ આ મહાન લડવૈયાઓની જન્મજયંતી અને નિર્વાણદિને તેમના સ્ટેચ્યુએ જઇને ફૂલહાર કરીને પોતાનો રાષ્ટ્રપ્રેમ બતાવે છે, પણ સામાન્ય દિવસોમાં શહેરમાં મુકાયેલા સ્ટેચ્યુની શું હાલત છે તેની કોઇ ચિંતા નથી.








