નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગુજરાતમાં શ્રાવણ મહિનો પત્યા બાદ ગરબાના રસિકો નવરાત્રિની તૈયારીઓમાં લાગી ગયા છે. છેલ્લા 2 વર્ષથી મહામારીના કારણે નવરાત્રિનું આયોજન મોટા પાયે થઈ શક્યું ન હતું, તેવામાં ગરબાના રસિકો આશા રાખીને બેઠા હતા કે આ વર્ષે નવરાત્રિની ઉજાણી તેમણે અગાઉની જેમ જ કરી શકશે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેને કારણે ગરબાના રસિકોમાં આનંદની લાગણી ઊભરી આવી છે.

નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા મહત્વનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના શક્તિ કેન્દ્ર પર ગરબાનું આયોજન કરવામાં આવશે. બહુચરાજી અને અંબાજી સહિત 9 શક્તિમંદિરોમાં ગરબાની ઉજવણી કરવામાં આવશે. ઉપરાંત અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડમાં પણ ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવશે. છેલ્લા બે વર્ષની મહામારીના કરાણે ગરબાનુ આયોજન કરવામાં આવ્યું ન હતું. જોકે હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાના કરાણે આયોજન કરવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર ભારે ધુમધામથી ઉજવવામાં આવતો છે. પરંતું છેલ્લા બે વર્ષથી રાજ્યમાં ગરબાનું આયોજન ન થતા. ખૈલયામાં નારાજગી જોવા મળી હતી. જોકે ચાલુ વર્ષે ગરબાના આયોજનમાં કોઈ વિધ્ન ન આવતા મહિનાઓ પહેલાથી ખૈલયાઓએ ગરબાની તૈયારી શરૂ કરી દીધી હતી. ઉપરાંત ગરબાના આયોજક દ્વારા પણ તૈયારીનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે બીજી બાજુ આ વર્ષે રાજ્ય સરકાર પણ 9 જગ્યાએ ગરબાનું ભવ્ય આયોજન કરવા જઈ રહી છે. અમદાવાદના GMDC મેદાન પર અગાઉ ગરબાની રમઝટ જોવા મળતી હતી. તે આ વર્ષે ફરી જોવા મળી શકે છે. ઉપરાંત આ વર્ષે ગરબાના પાસ પર GST લાગતા ખૈલયાના ખીસ્સા પર ભારે અસર પડી શકે છે. તેવામાં સરકાર દ્વારા આયોજન કરવામાં આવેલા ગરબામાં ભારે ભીડ ઉમટી શકવાની શક્યતા વર્તાઈ રહી છે.








