નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ સરકારમાં ફરજ બજાવતા કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોને લઈને રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. પોલીસ દ્વારા એક આંદોલન કરવામાં આવ્યું, ત્યાર બાદ શિક્ષણ વિભાગના કર્મચારીઓ પણ રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. હવે આજે ગાંધીનગરમાં સત્યાગ્રહ છવાણી ખાતે ગુજરાત સરકારના અલગ અલગ વિભાગોમાં વર્ષોથી કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓ પોતાના પ્રશ્નોને લઈને આંદોલન કરવા ગુજરાતનાં વિવિધ જિલ્લામાંથી આવી પહોંચ્યા છે.
આજે વહેલી સવારથી જ ગાંધીનગરમાં આવેલી સત્યાગ્રહ છાવણી ખાતે અલગ અલગ સરકારી વિભાગોમાં ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારીઓ એકઠા થવાની શરૂઆત થઈ ગઈ હતી. આજે તેઓ દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમના આગેવાનો દ્વારા કર્મચારીઓને તેમની માગ અંગે ચર્ચા કરી હતી અને આગામી સમયમાં તેમણે શું કાર્યક્રમો કરવા જઈ રહ્યા છે તે અંગે સૂચનાઓ આપી હતી.
આ આંદોલનના આગેવાન અમિત કવિએ જણાવ્યુ હતું કે, “અમે અહિયાં અમારો હક માગવા માટે એકત્રિત થયા છે. વર્ગ 1થી લઈને 4 સુધુની કર્મચારીઓને કરાર આધારિત ભરતી કરવામાં આવે છે, તમામ લોકો વર્ષોથી ફારજ બજાવે છે તેમ છતાં તેમનું આર્થિક શોષણ કરવામાં આવે છે. ગુજરાતનાં 4થી5 લાખ કર્મચારીઓ ‘સમાન કામ, સમાન વેતન’ની માગ સાથે ભેગા થયા છે.”
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, “આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. જો સરકાર અમારી માગ નહીં સ્વીકારે તો અમે અમારા મતાધિકારનો ઉપયોગ કરીશું અને જે પક્ષ અમારી માગ સંભાળશે અને તેના ઉપર કામ કરશે તેને અમે જીતાડીશું. અમે સત્તા પક્ષ, વિપક્ષ અને અન્ય જેટલા પણ પક્ષો છે તેમણે વિનંતી કરીએ છે કે અમારી રજૂઆત સાંભળે. અમે કર્મચારીઓ અને તેમના પરિવાર સાથે કરોડોની સંખ્યામાં મત ધરાવીએ છે. જો અમારી માગ સ્વીકારવામાં નથી આવે તો અમે અમારા આ અધિકારનો ઉપયોગ કરીશું.”








