Sunday, April 19, 2026
HomeGujaratબિલ્કીસ બાનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, વહેલી સુનાવણીની માંગ કરાઈ

બિલ્કીસ બાનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, વહેલી સુનાવણીની માંગ કરાઈ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ ગુજરાત રમખાણો સંબંધિત બિલ્કીસ બાનો કેસ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. 11 દોષિતોની મુક્તિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં વહેલી સુનાવણીની માંગ કરવામાં આવી છે. આ અરજી સુભાસિની અલી, રેવતી લાલ અને રૂપ રેખા વર્માએ દાખલ કરી છે. સીજેઆઈએ કહ્યું કે તેઓ આ મામલાની તપાસ કરશે. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને એડવોકેટ અપર્ણા ભટે વહેલી સુનાવણીની માંગ કરી છે. સિબ્બલે કહ્યું કે આ મામલાની સુનાવણી બુધવારે જ થવી જોઈએ. તેમણે કહ્યું કે ગુજરાત સરકારે 14 લોકોની હત્યા અને ગર્ભવતી મહિલા પર ગેંગરેપના 11 દોષિતોને મુક્ત કર્યા છે.

21 જાન્યુઆરી 2008ના રોજ મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે હત્યા અને સામૂહિક બળાત્કારના કેસમાં તમામ 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. બાદમાં બોમ્બે હાઈકોર્ટે તેની સજા યથાવત રાખી હતી. આ દોષિતોએ 15 વર્ષથી વધુ સમય સુધી જેલમાં રહ્યા હતા, ત્યારબાદ તેમાંથી એકે તેની અકાળે મુક્તિ માટે સુપ્રીમ કોર્ટના દ્વાર ખકડાવ્યા હતા. સર્વોચ્ચ અદાલતે ગુજરાત સરકારને 1992ની નીતિ મુજબ તેમની સજા માફ કરવાના મુદ્દા પર તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી સરકારે એક સમિતિની રચના કરી અને તમામ દોષિતોને સમય પહેલા મુક્ત કરવાનો આદેશ જારી કર્યો.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે ગોધરાની ઘટના બાદ ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા અને આ રમખાણો દરમિયાન 3 માર્ચ 2002ના રોજ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના રણધિકપુર ગામમાં ટોળાએ બિલ્કીસ બાનોના પરિવાર પર હુમલો કર્યો હતો. તે સમયે પાંચ મહિનાની ગર્ભવતી બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેના પરિવારના સાત સભ્યોની તોફાનીઓએ નિર્દયતાથી હત્યા કરી હતી.

બિલકિસ બાનોએ ભાવુકતા સાથે કહ્યું કે જ્યારે મેં સાંભળ્યું કે 11 ગુનેગારો જેમણે મારા પરિવાર અને મારું જીવન બરબાદ કર્યું અને મારી 3 વર્ષની દીકરીને મારી પાસેથી છીનવી લીધી, ત્યારે હું સંપૂર્ણપણે સ્તબ્ધ થઈ ગઈ. મને હજુ પણ આઘાત લાગ્યો છે. આજે હું એટલું જ કહી શકું છું – કોઈ પણ સ્ત્રી માટે આ રીતે ન્યાય કેવી રીતે સમાપ્ત થઈ શકે? મને મારા દેશની સર્વોચ્ચ અદાલતોમાં વિશ્વાસ હતો. મને સિસ્ટમ પર વિશ્વાસ હતો અને હું ધીમે ધીમે મારા આઘાત સાથે જીવવાનું શીખી રહી હતી. આ દોષિતોની મુક્તિથી મારી શાંતિ છીનવાઈ ગઈ છે અને ન્યાયમાં મારો વિશ્વાસ ડગમગી ગયો છે. મારું દુ:ખ અને મારી ડગમગી ગયેલી શ્રદ્ધા માત્ર મારા માટે જ નથી પરંતુ અદાલતોમાં ન્યાય માટે લડતી દરેક મહિલા માટે છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular