નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત હવે ગણતરીના દિવસોમાં જ થઈ શકે તેમ છે. ત્યારે ગુજરાતનાં રાજકારણમાં એન્ટ્રી કરી રહેલી આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં ચૂંટણી જીતવા માટે જોરશોરથી કામ કરી રહી છે. અત્યાર સુધીમાં AAP ગુજરાતમાં ભાજપ કે કોંગ્રેસ કરતાં વધારે ઉત્સુક્તા જોવા મળી રહી છે. AAP ગુજરાત દ્વારા અત્યાર સુધી 80 જેટલા ઉમેદવારોની પણ જાહેરાત કરી દેવામાં આવી છે જ્યારે અન્ય પક્ષોમાં હજુ ઉમેદવારો દાવેદારી નોંધાવી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ હવે આમ આદમી પાર્ટી પંજાબનું મોડલ અપનાવી રહ્યા છે. પંજાબમાં જેમ આમ આદમી પાર્ટીએ ભગવંત માનને CM ચહેરા તરીકે અગાઉથી જાહેર કરી દીધા હતા અને તેમના ચહેરા સાથે જ ચૂંટણી લડ્યા અને જીત્યા પણ ખરા, હવે AAP ગુજરાત પણ આ મોડલને અપનાવીને ગુજરાતની ચૂંટણી જીતવાની તૈયારી કરી રહી છે. ગુજરાતમાં પણ હવે AAP CMના ચહેરા સાથે ચૂંટણી લડશે. 3 તારીખ સુધીમાં લોકો નક્કી કરશે AAPના CMનો ચહેરો, આમ આદમી પાર્ટીએ નંબર અને ઇમેઇલ એડ્રેસ જાહેર કર્યા છે.
આ અંગે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, “અમે જનતાને પૂછી અને નક્કી કરીએ છીએ કે તમે કોને મુખ્યમંત્રી બનવાવા માગો છો. પંજાબની ચૂંટણીમાં અમે લોકોને પૂછ્યું હતું કે મુખ્યમંત્રી કોણ હશે અને પંજાબમાં લોકોએ ભગવંત માનના નામની પસંદગી કરી હતી. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બને તેવો માહોલ તૈયાર થઈ ચૂક્યો છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના ગુજરાતના મુખ્યમંત્રી ચહેરો જનતા નક્કી કરશે.”
આમ આદમી પાર્ટીએ CM ચહેરા પસંદ કરવા માટે નંબર અને ઈમેલ એડ્રેસ જાહેર કર્યા છે. ગુજરાતના લોકો 6357 000 360 નંબર પર મેસેજ, વોટ્સેપ મેસેજ, વોઇસ મેસેજ કરી અને પોતાના મુખ્યમંત્રીના નામનો મેસેજ કરી શકશે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ aapnocm@gmail.com ઇમેઇલ એડ્રેસ જાહેર કર્યું છે. જેમાં 3 તારીખ સાંજે 5 વાગ્યા સુધી CMનું નામ મોકલી શકાશે. જેમનું પરિણામ 4 તારીખે જાહેર થશે.








