નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથઃ ગુજરાતભરમાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે. જેના કારણે મોટી સંખ્યામાં પશુઓના મોત નિપજ્યા છે. પશુ માલિકો દ્વારા લમ્પી વાયરસનો ભોગ બનેલા મૃત પશુઓને જાહેરમાં ફેંકી દેવાની અનેક ઘટનામાં પણ પ્રકાશમાં આવી છે. ત્યારે આવી વધુ એક ઘટના ગીર સોમનાથના ઉનામાં આવી છે. મૃત પશુઓને જ્યાં ત્યાં ફેંકી દેવાતા સડેલા મૃતદેહોથી રોગચાળાની દહેશત ઊભી થઈ છે. આ વિસ્તારમાં વસતા સિંહ, દીપડા, શિયાળ, ઝરખમાં પણ રોગચાળો ફેલાવાનો ભય ઉભો થયો છે.
ઉનાના વડવીયાળા ગામે છેલ્લા ઘણા સમયથી પાલતુ પ્રાણીઓમાં લમ્પી રોગ ફેલાય રહ્યો છે. જેના કારણે વ્યાપક પણે ટપો ટપ માલ ઢોર મારી રહ્યા છે. આ માલઢોરને મૃત હાલતમાં ઉના ગીર ગઢડા હાઇવે ઉપર આવેલા વડવીયાળા ગામના તળાવ પાસે તેમજ પ્રાથમિક શાળા – હાઈ સ્કુલ નજીક ગમે ત્યાં મૃત પશુઓ ફેંકી દેવામાં આવ્યા છે. જેના કારણે રોડ ઉપરથી પસાર થતા વાહનોના મુસાફરો તેમજ વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે.
લમ્પી રોગચાળો ફેલાવા છતાં પશુ પાલન અને જવાબદાર વિભાગો કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યા છે. માંસ ભક્ષી સિંહ,દીપડા, શિયાળ, ઝરખ, નોળિયા સહિતના પ્રાણીઓમાં પણ આ રોગની અસર થાય તેવો ભય ઊભો થયો છે. અગાઉ પણ ધારીના સરસીયા ગામના જંગલમાં ૩૦ આસપાસ સિંહો ડીસ્ટેમ્પર વાઇરસનો ભોગ બનતા મોતને ભેટ્યા હતા. તેવા બનાવનું પુનરાવર્તન થાય તે પહેલા ગ્રામ પંચાયત મામલતદાર વિભાગ અને જંગલ ખાતા દ્વારા મૃત લમ્પી ગ્રસ્ત પશુઓના શબને ખાડો ખોદી દાટી દેવામાં આવે તેવું ગ્રામજનો અને પ્રકૃતિ પ્રેમીઓ ઇરછી રહ્યા છે.
આભારસઃ ધર્મેશ જેઠવા








