નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગાંધીનગરમાં એક SRPના કોન્સટેબલના કારણે એક વ્યક્તિને નવજીવન મળ્યું છે. SRPનો કોન્સટેબલ આજે ગુરુવારે વહેલી સવારે ફરજ પુરી કરીને કેમ્પ તરફ પરત ફરી રહ્યો હતો તે દરમિયાન અડાલજ કેનાલ રોડ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આ ભીડ અડાલજ પાસેની કેનાલમાં એક વ્યક્તિએ પડતું મૂક્યું હોવાના કારણે થઈ હોવાના કોન્સટેબલના ધ્યાને આવતા તરત જ પોતાનું વાહન થોભી દીધું હતુ અને કેનાલમાં કુદકો મારી અજાણ્યા વ્યક્તિને રેસ્ક્યું કરી બહાર કાઢવાની કામગીરી કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રવીણભાઈ દેવશીભાઇ ભરવાડ જેઓ એસઆરપી ગૃપ 15 ઓએનજીસી મહેસાણાની કંપની-બીમાં (હાલમાં ચાંદખેડા કેમ્પ)માં ફરજ બજાવે છે. તેઓ આજે વહેલી સવારે પોતાની ઓએનજીસી પેટ્રોલીંગ ચાંદખેડા (અમદાવાદ) થી નાઈટ પેટ્રોલીંગ ટાઈગર-૧ કલોલ વિસ્તારથી ફરજ પરથી પરત કેમ્પ તરફ જઇ રહ્યા હતા. આ સમયે અડાલજ કેનાલ પાસે મોટી સંખ્યામાં લોકોનું ટોળું જોવા મળ્યું હતું. SRP જવાને ભીડની નજીક જતા જાણવા મળ્યું હતું કે, કોઈ અજાણ્યો વ્યક્તિ કેનાલમાં પડી ગયો છે. પરંતુ વરસાદના કારણે કેનાલમાં પાણીનો પ્રવાહ વધારે હોવાના કારણે ટોળામાંથી કોઈ પણ વ્યક્તિ રેસક્યુંની કામગીરી કરી રહ્યું ન હતું. જેથી કોઈ વિચાર કર્યા વગર જ પ્રવીણભાઈએ કેનાલમાં કુદકો મારીને અજાણ્યા વ્યક્તિનું રેસક્યું ઓપરેશન શરૂ કર્યું હતું. ત્યારબાદ દોરડાની મદદથી કેનાલમાંથી અજાણ્યા વ્યક્તિને બહાર કાઢયો હતો.








