ગુજરાતના પાટનગર ગાંધીનગરના રહેવાસીએ માતાની ઇચ્છા પૂર્ણ કરવા માટે દ્વારકા સ્થિત જગતમંદિરના ગર્ભગૃહના દ્વાર સોનાથી મઢી દીધા છે. અને સાથે જ તેમણે માતૃભક્તિની સાથે કૃષ્ણભક્તિ પણ દર્શાવી છે.
દ્વારકાધીશ મંદિરના કપાટને 650 ગ્રામ 24 કેરેટ સોનાથી મઢનારા આ ગુજરાતીનું નામ છે રવિન્દ્રભાઈ છોટાલાલ ત્રિવેદી. તેઓ ગાંધીનગરના વતની છે અને તેમના માતા રાજાધિરાજ દ્વારકાધીશના પરમભક્ત હોવાથી તેમની ઇચ્છા હતી કે મંદિરના ગર્ભગૃહના દ્વાર જે ચાંદીના છે તે હવે સોનાથી મઢવામાં આવે. જેથી માતાની ઇચ્છાને માન આપી પુત્ર રવિન્દ્રભાઇ ત્રિવેદીએ આ ભગીરથ કાર્ય પૂર્ણ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે 5 મહિના પહેલાં દ્વારકામાં વારીયા પરિવાર દ્વારા ઠાકોરજીને કિંમતી રત્નજડિત સોનાની વાંસળી અર્પણ કરવામાં આવી હતી. મૂળ દ્વારકાના અને હાલ જામનગરમાં વસવાટ કરતા વારીયા પરિવારે તેમના સ્વજનની યાદમાં આ અનમોલ ભેટ આપી હતી.








