નવજીવન ન્યૂઝ.સુરતઃ સુરતમાં છેલ્લા ઘણા સમયથી આવારા તત્વોનો આતંક વધ્યો છે. સરા જાહેર પણ હુમલો કરી દેનારાઓની સંખ્યા જાણે રાફડાની જેમ ફાટી નીકળી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. આમ તો આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી ગુજરાતમાં શાંતિ સ્થાપિત કરવા માટે ઘણી મથામણ કરી રહ્યા છે પરંતુ તેમના હોમટાઉન સુરતમાં જ સ્થિતિ ગંભીર બનતી જાય છે. સુરતના કતારગામ વિસ્તારમાં એક યુવક પર કેટલાક શખ્સોએ જાહેરમાં ચાકુથી હુમલો કર્યો હતો.
આ હુમલા બાદ હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત યુવકને જેતે સમયે તો કોઈ ખ્યાલ જ ન આવ્યો કે શું બન્યું. તેને ગંભીર ઈજાઓ થઈ હતી જેથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે મામલે ગુનો નોંધી ત્રણેય શખ્સોની ધરપકડ કરી લીધી છે. જોકે સવાલ એ છે કે આવારા તત્વોમાં કાયદાનો ડર બેસાડવામાં પોલીસ હજુ પણ સફળ થઈ નથી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જે અહીં રજુ કર્યા છે.
ઘટના એવી છે કે, કતારગામ ખાતેના વિજયનગરમાં રહેતા 45 વર્ષીય પિયુષ ડાભી પોતના ઘર પાસે ઊભા હતા. તેઓ મોબાઈલમાં વ્યસ્ત હતા ત્યારે અચાનક પાછળથી કોઈએ ચાકુના ઘા મારી દીધા હતા. પિયુષને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો.








