- નવા દેલવાડા પાસે મધરાત્રે દુર્ઘટના, સંઘને ટક્કર મારી ચાલક ફરાર
- અંતિમયાત્રામાં આખું ગામ ઉમટ્યું, પરિવારોમાં શોકની લાગણી
નવજીવન ન્યૂઝ, મહેસાણા : ચૈત્રી પૂનમના પાવન પર્વે માઁ બહુચરના દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓના સંઘને ટ્રકે અડફેટે લેતા કરૂણ અકસ્માત સર્જાયો છે. મહેસાણા જિલ્લાના નવા દેલવાડા નજીક બનેલી આ ઘટનામાં બે ભક્તોના મોત નિપજ્યા છે, જ્યારે સાત પદયાત્રીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી મુજબ, સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામથી આશરે 60 લોકોનો સંઘ બહુચરાજી મેળામાં જવા માટે પગપાળા નીકળ્યો હતો. 30 માર્ચની રાત્રે લગભગ 10 વાગ્યાના સમયે નવા દેલવાડા નજીક એક પૂરપાટ ઝડપે આવેલી ટ્રકે સંઘને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં કુલ 9 જેટલા લોકો ભોગ બન્યા હતા.
ઘટનામાં ઠાકોર દલપતજી પારખાનજી (ઉંમર 19 વર્ષ) અને ઠાકોર લાલાજી નાગજીજી (ઉંમર 25 વર્ષ) ના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. બંને મૃતકોના અંતિમવિધિ સમયે સમગ્ર ગામ શોકમાં ગરકાવ થઈ ઉમટી પડ્યું હતું.
અકસાનમાં ઘાયલ થયેલા પદયાત્રીઓમાં બતસગજી નાગજીજી ઠાકોર, બળદેવજી દેવસગજી ઠાકોર, મેહુલજી જોહાજી ઠાકોર, જોહાજી જેમલજી ઠાકોર, હેતલબેન બતસગજી ઠાકોર, વિમલબેન જોહાજી ઠાકોર સહિતના લોકોને તાત્કાલિક સારવાર માટે પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાક ઘાયલોની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે.
અકસાન બાદ ટ્રકચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ટ્રક કબ્જે લઈને ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. ઘટનાના બીજા દિવસે પણ સ્થળ પર લોહીના નિશાન જોવા મળતા દુર્ઘટનાની ગંભીરતા સ્પષ્ટ થાય છે.
ગામના સરપંચના જણાવ્યા મુજબ, મૃતક દલપતજીની થોડા મહિના પહેલાં જ સગાઈ થઈ હતી અને તેમના પરિવારમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. જ્યારે લાલાજી નાગજીજી સંઘના સક્રિય સભ્ય હતા અને દર વર્ષે પદયાત્રામાં જોડાતા હતા. આ દુર્ઘટનાથી બંને પરિવારોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.








