નવજીવન ન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ને ડી-રજિસ્ટર કરવા અને અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા તેમજ દુર્ગેશ પાઠકને ચૂંટણી લડતા રોકવાની માંગ કરતી જનહિત અરજી (PIL)ને સખત શબ્દોમાં ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે આ અરજી સંપૂર્ણપણે ગેરસમજ પર આધારિત છે અને તેમાં કોઈ કાનૂની આધાર કે યોગ્ય તથ્યાત્મક મજબૂતી નથી.
સુનાવણી દરમિયાન કોર્ટે અરજીકર્તાના વકીલને સીધો સવાલ કર્યો હતો કે ચૂંટણી પંચને કોઈ રાજકીય પક્ષનું રજીસ્ટ્રેશન રદ કરવા માટે કાયદામાં કયો સ્પષ્ટ અધિકાર આપવામાં આવ્યો છે? આ પ્રશ્નના જવાબમાં વકીલે સ્વીકાર્યું હતું કે જનપ્રતિનિધિત્વ અધિનિયમ (Representation of the People Act)માં આવો કોઈ સ્પષ્ટ પ્રાવધાન નથી.
કોર્ટે વધુમાં સવાલ ઉઠાવ્યો કે જો કોઈ પક્ષના કેટલાક નેતાઓના વર્તન સામે વાંધો હોય તો તેના આધારે આખા રાજકીય પક્ષનું રજીસ્ટ્રેશન કેવી રીતે રદ કરી શકાય? આ માટે કાયદાકીય આધાર શું છે તે પણ કોર્ટે પૂછ્યું હતું.
અરજીકર્તાનો દાવો હતો કે કેટલાક નેતાઓએ કોર્ટની કાર્યવાહીનો બહિષ્કાર કરીને બાદમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જે બંધારણ વિરોધી અને કોર્ટની અવમાનના સમાન છે. આ મુદ્દે હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે જો કોઈ કોર્ટની અવમાનનાનો મામલો હોય તો તેના માટે અલગ કાયદો એટલે કે Contempt of Court Act હેઠળ કાર્યવાહી થાય છે. માત્ર આ આધારે કોઈને ચૂંટણી લડતા અયોગ્ય જાહેર કરી શકાય નહીં.
કોર્ટએ વધુમાં કહ્યું કે હાલ એવો કોઈ કાયદાકીય પ્રાવધાન નથી જેના આધારે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અથવા દુર્ગેશ પાઠકને ચૂંટણી લડતા રોકી શકાય.
આ અરજી તે મુદ્દા સાથે જોડાયેલી હતી જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને દુર્ગેશ પાઠકે જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા સમક્ષ ચાલી રહેલા આબકારી નીતિ (Excise Policy) કેસની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો. આ જ આધાર પર તેમની સામે કડક કાર્યવાહી અને ચૂંટણી અયોગ્યતા જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. જોકે, દિલ્હી હાઇકોર્ટે આ સમગ્ર અરજીને નિરાધાર ગણાવીને ફગાવી દીધી છે.








