નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી અને તેમના મિત્રના માર્ગ અકસ્માતમાં મૃત્યુ બાદ કાર અને માર્ગ સલામતી પર પ્રશ્નો ઉઠાવવામાં આવતા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ સોમવારે જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતોને રોકવા માટેના કોઈપણ પ્રયાસ લોકો દ્વારા કરવા જોઈએ, સહકાર વિના તે શક્ય ન બને. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરી પણ અમદાવાદ-મુંબઈ હાઈવેને જોખમી માને છે જ્યાં ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીની કારને અકસ્માત થયો હતો. સાયરસની કાર ઓવરટેકિંગ દરમિયાન સૂર્યા નદીના પુલ પર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી.
54 વર્ષીય સાયરસ મિસ્ત્રી અને તેમના મિત્ર જહાંગીર પંડોલે રવિવારે મહારાષ્ટ્રના પાલઘરમાં કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. આ તમામ કારમાં અમદાવાદથી મુંબઈ જઈ રહ્યા હતા, પરંતુ તેજ ગતિએ કાર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી. ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન પાછળની સીટ પર હતા અને તેમણે સીટ બેલ્ટ પહેર્યો ન હતો. પાછળની સીટ પર સવાર મિસ્ત્રીના મિત્ર જહાંગીર પંડોલેનું પણ મૃત્યુ થયું હતું. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ IAAની ગ્લોબલ સમિટમાં કહ્યું, “લોકો વિચારે છે કે પાછળની સીટ પર સીટ બેલ્ટ પહેરવાની જરૂર નથી. હું કોઈ દુર્ઘટના પર ટિપ્પણી કરવા માંગતો નથી, પરંતુ પાછળ બેઠેલા લોકો વિચારે છે કે ફક્ત આગળના લોકોને જ બેલ્ટ પહેરવો જોઈએ. ફ્રન્ટ-સીટર અને બેક-સીટર બંનેને સીટ બેલ્ટ પહેરવાની જરૂર છે.”
તેમણે કહ્યું કે મુખ્યમંત્રીઓ પણ કાર સુરક્ષા નિયમોનું પાલન કરતા નથી. તેમણે કહ્યું, “સામાન્ય લોકોની વાત છોડો. મેં ચાર મુખ્યમંત્રીઓની કારમાં મુસાફરી કરી, મને તેમના નામ ન પૂછો. હું આગળની સીટ પર હતો અને તેઓ બધા પાછળની સીટ પર હતા પરંતુ કોઈએ બેલ્ટ પહેર્યો ન હતો. જો તમે બેલ્ટ ન પહેરો તો એલાર્મ વાગે છે પરંતુ ડ્રાઈવરોએ એલાર્મ બંધ કરી દીધું હતું. અહીં અમને સહકારની જરૂર છે. તેમણે કહ્યું કે “મેં ઈન્ડસ્ટ્રીને કહ્યું- લોકો મરી રહ્યા છે. હું પણ અકસ્માતનો શિકાર બન્યો છું. માર્ગ સલામતીને લઈને આંતરરાષ્ટ્રીય માપદંડો છે – અમે તેમની સાથે સમાધાન નહીં કરીએ. અમારી ટોચની પ્રાથમિકતા જીવન બચાવવાની છે.”








