નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ દિવાળીના તહેવારોની શરુઆત થતાં લોકોની ભારે ભીડ બજારમાં જોવા મળી રહી છે. ગઈકાલે ધનતેરસ હોવાના કારણે સોના-ચાંદીની દુકાનોમાં પણ ખરીદી કરવામાં માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના ધનતેરસના દિવસે સામે આવી છે. શહેરના મોટેરા વિસ્તારમાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાં ત્રણ કિલો સોનાની લૂંટ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના ચાંદખેડા વિસ્તારના મોટેરામાં આવેલી અંજલી જ્વેલર્સની દુકાનમાં ધનતેરસના દિવસે ત્રણ કિલોની સોનાની લૂંટ કરવામાં આવી છે. લૂંટ કરનારા વ્યક્તિ બીજુ કોઈ નહીં પણ પોતાના જ દુકાનના કામ કરતા બે કર્મચારીએ લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું છે. જ્વેલર્સના માલિક સોનાના દાગીના અને સોનાની બિસ્કીટ સ્ટ્રોંગ રૂમમાં મુકવા જઈ રહ્યા હતા. તે દરમિયાન જ્વેલર્સમાં કામ કરતાં બે કર્મચારીએ માલિકને સ્ટ્રોંગ રૂમમાં પુરી દીધા હતા અને બંને કર્મીએ ત્રણ કિલ્લો સોનાની લૂંટ ચાલાવી હતી.
જ્વેલર્સના બંને કર્મચારીઓએ દુકાનમાં રહેલી પાંચ લાખની રોકડ રકમની પણ ચોરી કરી હતી. કર્મચારીઓએ કુલ દોઢ કરોડની આસપાસ લૂંટ ચલાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. લૂંટની ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ચાંદખેડા પોલીસના કર્મી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે જ્વેલર્સના સીસીટીવીની આધારે બંને કર્મચારી અંગેની તપાસ શરૂ કરી છે. પોલીસે અલગ-અલગ ટીમ બનાવીને આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.








