Opposition raised farmers issues in Gujarat Legislative Assembly : વિધાનસભા ચોમાસું સત્ર દરમિયાન આજે ખેડૂતોના મુદ્દે વિપક્ષે ગુજરાત સરકાર (Gujarat Government) ને સાણસામાં લીધી હતી. રાજ્યમાં ચોમાસાની સિઝન પૂર્ણ થવા આવી આમ છતાં અનેક તાલુકાઓમાં મહિનાથી વરસાદ વરસ્યો નથી. અનેક વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા સરકાર પાસે ખેડૂતો માગ કરી રહ્યાં છે. વિધાનસભામાં વિપક્ષે ખેડૂતોના પાક નુકસાન અને વરસાદની અછતના મુદ્દે સરકારને ઘેરી હતી.
વિધાનસભાના ચોમાસુ સત્રના અંતિમ દિવસે વરસાદની અછત અને ખેડૂતોના પાક નુકસાન મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે સવાલ-જવાબ થયા હતા. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા (Gopal Italia) એ જણાવ્યું કે, તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ના સમયે સતત ચાર સપ્તાહ સુધી વરસાદ ન પડે તો દુષ્કાળ જાહેર કરી શકાય તેવો પરિપત્ર કરાયો હતો. કેટલાંક તાલુકાઓમાં ચાર સપ્તાહથી વરસાદ થયો નથી, ત્યારે આવા વિસ્તારોમાં દુષ્કાળ જાહેર કરવામાં આવશે કે કેમ તે અંગે સવાલ કર્યો હતો. જેના જવાબમાં મંત્રી ઋષિકેશ પટેલે (Rushikesh Patel) જણાવ્યું કે, રાજ્ય સરકાર ભારત સરકારના ડ્રોટ મેનેજમેન્ટ મેન્યૂઅલ મુજબ કાર્યવાહી કરે છે અને તેના આધારે જ દુષ્કાળ અંગે નિર્ણય લેવાશે.
ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વરસાદના અભાવે પાક નિષ્ફળ ગયેલા વિસ્તારોમાં ખેડૂતોનું દેવું માફ કરવાની માગ કરી હતી. જેના જવાબમાં સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ખેડૂતોને આપવામાં આવતી લોનમાં વ્યાજ લેવામાં આવતું નથી. જ્યારે પાક નિષ્ફળતા અંગે સરકાર યોગ્ય નિર્ણય કરશે. આ મુદ્દે ધારાસભ્ય અમિત ચાવડાએ વ્યાજ માફી અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, NPA થયેલા કેસમાં જ લોન માફી મળતી હોય છે.








