Kheti Madadnish Government Jobs: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેશવાસીઓને કરેલી અપીલના અનુસંધાનમાં ગુજરાત સરકારે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં નવી નિમણૂકોની પ્રક્રિયા હાથ ધરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી ગાંધીનગર ખાતે યોજાયેલા સાદગીપૂર્ણ છતાં ગૌરવશાળી સમારોહમાં રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં ‘ખેતી મદદનીશ’ સંવર્ગમાં પસંદગી પામેલા યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન પ્રતિકરૂપે 21 યુવાનોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. રાજ્યભરમાં કુલ 415 યુવાનો ખેતી મદદનીશ તરીકે પસંદગી પામ્યા છે, જેમને ઈ-મેઈલ મારફતે નિમણૂક પત્રો મોકલવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવામાં અને અન્નદાતાઓને કેમિકલમુક્ત પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવામાં આ નવી કાર્યશક્તિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે રાસાયણિક ખાતરોના ઉપયોગમાં ઘટાડો લાવવા તેમજ ખેડૂતો સુધી નવીન કૃષિ પદ્ધતિઓ પહોંચાડવામાં નવનિયુક્ત કર્મયોગીઓના યોગદાન અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ યુવાનોને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા, સતત પોતાની ક્ષમતાઓને અપગ્રેડ રાખવા અને ખેડૂતોના કલ્યાણ માટે સમર્પિત રહી કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ યુવાનો ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.








