નવજીવન ન્યૂઝ, રાજકોટ : 25 મે 2024ના રોજ રાજકોટ શહેરમાં સમી સાંજે બનેલા એક અગ્નિકાંડે દેશ આખાને હચમચાવી દીધો હતો. સરકારી તંત્રની ગુનાહિત બેદરકારી અને TRP ગેમ ઝોનના સંચાલકો સાથેની સાંઠગાંઠે બાળકો સહિત 27 લોકોને મોતના મુખમાં ધકેલી દીધા. આ ચકચારી ઘટનાને આજે બે વર્ષ પૂર્ણ થયા છે, પરંતુ આજે પણ મૃતકોના પરિવારજનો કાગડોળે ન્યાયની રાહમાં (Hope for justice in TRP Game Zone fire case) બેઠાં છે.
TRP ગેમ ઝોન અગ્નિ દુર્ઘટના (TRP Game Zone Fire Tragedy Rajkot) ને ભલે મોટા ભાગના લોકો ભૂલી ગયા હશે, પરંતુ જે પરિવારોએ તેમના સ્વજન ગુમાવ્યા છે તે આજે પણ પાપીઓને સજા મળે તેવી આશા લગાવીને બેઠાં છે. આ કેસમાં પોલીસે 16 આરોપીઓ સામે ગુનો નોંધી તબક્કાવાર ધરપકડ કરી હતી. સાથે જ ફોરેન્સિકની મદદથી પુરાવાઓ એકઠાં કર્યા હતા. આ કેસમાં 418 દિવસે એટલે કે 17 જુલાઈ,2025ના રોજ ચાર્જફ્રેમ થતાં સૌથી ઝડપી ચાર્જફ્રેમનો દાવો (Claiming the fastest charge frame) કરવામાં આવ્યો હતો. આ કેસમાં પકડાયેલા આરોપીઓ પૈકી એકનું મોત નિપજ્યું છે. જ્યારે બાકીના આરોપીઓ હાલ જામીન મુક્ત છે. આ કેસમાં જવાબદાર મનાતા મનસુખ સાગઠીયા સહિતના આરોપીઓ બિન તહોમત છૂટકારો મેળવવા માટે પણ પ્રયત્ન કરી ચૂક્યાં છે.








