નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ગેરકાયદે રીતે પશુઓની કતલની પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હોવાના આરોપ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને સ્થાનિક પોલીસે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી ગેરકાયદે કતલખાનાને જમીનદોસ્ત કરી દીધું છે. Ahmedabad Demolition 22 મેના રોજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચલાવવામાં આવેલા આ ઓપરેશનમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, દાણીલીમડાના રામરહીમના ટેકરા વિસ્તારમાં નગીના મસ્જિદ સામે અને ઢોરબજારના કોટને અડીને આરોપી સમીર ઉર્ફે પમો સાબીરભાઈ ખોખર અને શાહરૂખ કુરેશી દ્વારા ગેરકાયદે બાંધકામ ઊભું કરવામાં આવ્યું હતું. જણાવાયું છે કે આ બંને સામે ભૂતકાળમાં પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ 4 થી 5 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.
પોલીસને બાતમી મળી હતી કે કેટલાક કસાઈઓ આ ગેરકાયદે જગ્યાનો ઉપયોગ રાત્રિના સમયે મૂંગા પશુઓની કતલ કરવા માટે કરી રહ્યા છે. આ માહિતીના આધારે તંત્રએ તાત્કાલિક ડિમોલિશન કાર્યવાહીનું આયોજન કર્યું હતું.
કાર્યવાહી દરમિયાન કોઈ હુમલો ન થાય અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે AMCની ટીમ સાથે મોટો પોલીસ કાફલો પણ તહેનાત કરવામાં આવ્યો હતો. આ ઓપરેશનમાં 1 PI, 3 PSI અને 20 થી 25 જેટલા પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેસીબી મશીનની મદદથી ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
આ સમગ્ર ઓપરેશન અંદાજે એકથી સવા કલાક સુધી ચાલ્યું હતું અને કતલખાનાનું આખું માળખું સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યું હતું. જોકે, કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી કોઈ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નહોતી.
આ મામલે દાણીલીમડા પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યું હતું કે તેમને સતત ફરિયાદો અને માહિતી મળી રહી હતી કે અમુક કસાઈઓ આ ચોક્કસ જગ્યાનો ઉપયોગ ગેરકાયદે પશુ કતલ માટે કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આ જગ્યા સંપૂર્ણપણે ગેરકાયદે દબાણ કરીને બનાવવામાં આવી હતી અને સંકળાયેલા શખસો સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે.
પોલીસના જણાવ્યા મુજબ ભવિષ્યમાં આ સ્થળે ફરી મૂંગા પશુઓની કતલ ન થાય અને ગુનાઈત પ્રવૃત્તિઓ અટકાવવા કડક આશય સાથે આ દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ ડિમોલિશન બાદ સમગ્ર વિસ્તારમાં અસામાજિક તત્ત્વોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો.








